પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬


"વૈરાગ્યની વાતમાં પણ સંસારની વાતો – તે અનુભવ વગર સમજાય નહી."

"શૃંગારમાં યે અનુભવ ને વૈરાગ્યમાં યે અનુભવ. સંસ્કૃતનો શૃંગાર સમજાય નહી ને પારકાંનો અનુભવ સમજાય નહી. અનુભવનાં વાક્ય સાંભળીયે ને સમજાય નહી તે જાણે તુમડીમાંના કાકરા ખખડયા ! અનુભવ વગર એ કાકરાની વાત પણ ન સમજાય."

"રમણ પરણે એટલે રમણ મટે ને સ્વામી થાય – એ ઈંગ્રેજનો અનુભવ ફ્‌લોરાએ સમજાવ્યો, એ સમજાયો ત્યારે આપણા લોકનો શ્લોક પણ સમજાયો !"

[૧]पुराऽभूदस्माकं प्रथममविभिन्ना तनुरियम्
ततो नु त्वं प्रेयान् वयमपि हताशा प्रियतमा ।
इदानीं नाथस्त्वं वयमपि कलत्रं किमपरम्
हतानां प्राणानां कुलिशंकठिनानां फलमिदम् ।।

"આનો અક્ષરે અક્ષર જાણતી હતી, પણ સ્ત્રીપુરુષનું એક શરીર મટ્યું અને પ્રેયાન્ ને પ્રિયા એમ બે થયાં, તે પછી તેનાં પણ સ્વામી અને કલત્ર થયાં ! આ જાદુની વાત આપણા લોક ભુલી ગયા છે તે ફ્‌લોરાએ ઈંગ્રેજોનો અનુભવ કહ્યો ત્યારે હું સમજી."

"ગરજ સરી એટલે વૈદ વેરી! આપણામાં પણ ગાય છે કે—

"પ્હેલાં તે બાઈજી એમ ક્‌હેતાં જે - વહુ! તું મ્હારી સાકર રે;
હવે તે બાઈજી એમ શું બોલો - “વહુ, તું મ્હારી ચાકર રે?”

જ્યારે સર્વ સંસારનો જ માર્ગ આવો છે ત્યારે સરસ્વતીચંદ્ર પ્હેલેથી ચેત્યા ! મ્હારે પણ એક જ માર્ગ !

આ ગુણીયલ અમસ્તાં દુઃખ પામે છે. એ એક પાસનુંજ જુવે છે ! એ કોણ જાણે શું હશે ! પણ કંઈ નહી. ધારેલે રસ્તે - જાર, બાજરી, ને જાડાં લુગડાંની ટેવ પાડવી ને જંગલમાં કે ગરીબ ઘરમાં ચાકર વગરની હઉ તેમ કામ કરવાની ટેવ પાડવી. એ ટેવ સઉને એક કારણથી ગમશે, મને બીજા કારણથી ગમશે"


  1. પ્રથમ કાળમાં આપણા બેનાં શરીર મળી આ એક શરીર હતું. ત્યાર પછી તમે પ્રિય થયા અને હું માત્ર બીચારી આશાભંગ ભરી તમારી પ્રિયતમા જ થઈ ગઈ. અને હવે આજના કાળમાં તમે મ્હારા નાથ છો અને હું માત્ર તમારી સ્ત્રી જ છું. હવે બીજુ શું? આ હતપ્રાણ વજ્રજેવા કઠણ થઈ દેહને છોડતા નથી તેનું આ ફળ ચાખવાનું જેટલું બાકી છે તેટલું ચાખું છું. (પ્રાચીન)