પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪

ચંદ્ર૦- આપ ક્‌હો તે.

શંકર– જો આ રાજ્યપાસે આશ્રય માગતા હો તો બે રીતે મળે. રાજ્યમાં કાંઈ અપરાધ થયો હોય તો પોલીસ શોધ કરે. સરસ્વતીચંદ્રના સંબંધમાં અર્થદાસનું ન્યાયાન્વેષણ થવાનું એટલે પોલીસ શોધ કરે છે જ. બીજું અમારું “સરભરાખાતું” રાજ્યના અતિથિવર્ગની સરભરા કરે છે; પણ આપ રાજ્યના અતિથિ નથી. આ૫ રાજ્યપ્રસંગે પધારેલા નથી. આપ પ્રધાનજીના અતિથિ છો એટલે તેમના કુટુમ્બવત્ છો અને તેથી મહારાજને મન તથા અમારે મન પણ કુટુમ્બવત્ છો તે ન્યાયે આપ માગો તે આશ્રય આપવો એ અમારો ધર્મ છે.

ચંદ્ર૦- સરસ્વતીચંદ્ર આપના રાજ્યમાં ગુપ્તપણે સંચાર કરે છે તેને શોધવામાં આપના રાજ્યસ્થાનનો કુટુમ્બનન્યાય શો આશ્રય આપી શકશે તે જાણ્યા પ્હેલાં મ્હારી ઈચ્છા વધારે સ્પષ્ટ કરી શી રીતે દર્શાવું?

પ્રવીણ૦- આપ મનમાં સંકોચ રાખી વાત કરો છો, પ્રધાનજીના મનમાં એમ છે કે અર્થદાસના સંબંધમાં સરસ્વતીચંદ્રના શરીરનો શોધ પોલીસ કરે છે એટલે આપના શરીરને અથડામણમાં નાંખવાની અગત્ય નથી.

ચંદ્ર૦– પોલીસ શું કરે છે તે જાણવા પામું તો મનની આતુરતા શાંત થાય, સૂચનાં કરું અને શો આશ્રય માગવો તે સમજું.

પ્રવી૦– તે આપને જણાવવામાં કાંઈ ઢીલ નહી થાય.

ચંદ્ર૦- મ્હારે પોતાને પણ આ શોધને માટે જવાની ઈચ્છા છે તો આ શરીર અથડાવવું પડે તેની ચિંતા પ્રધાનજીએ રાખવી નહી. મ્હારી શાન્તિ એવી અથડામણથીજ થશે. હું આટલા દિવસ બેસી રહેલો છું તે મને બહુ ઉદ્વેગ થાય છે.

શાન્તિ૦- આપનું મન રોકાયેલું ર્‌હે એટલા કારણથી જ મહારાજશ્રી જાતે પ્રધાનજીસહિત મલ્લભવન આદિ સ્થાનોમાં આપની સાથે કાલગમન કરે છે. સરસ્વતીચંદ્રના મિત્ર ઉપરનો કુટુમ્બભાવ એમને એટલું કરાવે છે.

ચંદ્ર૦- હું જેને સરસ્વતીચંદ્ર વિષયે સઉના પ્રમાદનું ચિન્હ ગણતો હતો તે આમ સ્નેહનું કાર્ય નીવડે છે, તે જાણી હું સ્વસ્થ થાઉં છું, પણ મ્હારો ગુંચવારો તો મ્હારા અથડાવાથીજ મટશે.

પ્રવી૦– તેમાં આપની ઈચ્છા પ્રમાણે થશે જ.

શાન્તિ૦- એ વાતનો સત્વર માર્ગ ક્‌હાડીશું. બીજું પ્રધાનજીના શિરનામથી આ પત્ર આવેલો છે તે કોનો છે તે સમજાતું નથી પણ