પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પપ૭


“આજ તમારા સર્વ શરીરનો ગાઢ સંસર્ગ કરી ઉભી છું, છતાં શાન્તિ ભોગવું છું ને કાલ ચરણસ્પર્શથી જ મદનજ્વાલામાં હું બળતી હતી તેનું કારણ શું ?”

“એ જ્વાલા ત્હારા સ્થૂલ શરીરમાં જન્મી હતી. આજનો સમાગમ સૂક્ષ્મ શરીરથી જ છે, અને એ શરીર પણ સિદ્ધલોકના પ્રદેશમાં તેમના ઘ્રાણગ્રાહી શુદ્ધ પવનથી પોષિત છે.”

“તમને એવી જ્વાલાનો અનુભવ છે ?”

“ત્હારા મંગલસૂત્રને એ પુછજે, એ જ્વાલાનો અને એની શાન્તિ માટેના આપણા કષ્ટ તપનો સાક્ષી આપણા હૃદયને સાંધનાર અને સૌભાગ્યદેવીએ પ્રત્યક્ષ કરાવેલો આ પટ છે અને આપણી વાસનાનો iતિહાસ એ પટને લીધે તું દેખે છે.”

"હા.”

“અને આ મંગલસૂત્રમાં એ મન્થનનું માખણ તું દેખે છે.”

"હા.”

આટલું બે જણ બોલે છે ત્યાં પાસેના કોટના ગોપુરમાં પચાશેક કુતરાઓનું ભસવું સંભળાયું. થોડીવારમાં મ્હોટા મ્હોટા કુતરાઓ પગના નખવડે પૃથ્વીનાં પડ ખણતા ખણતા અને નાકવતે તેનો અંતર્ભાગને સુંઘતા સુંઘતા આ બે જણની આશપાશ ફરી વળ્યા. તો પણ બે જણે ચાલ્યાં કર્યું. અને મ્હોટામાં મ્હોટો કુતરો સરસ્વતીચંદ્રની સામે આવી મનુષ્યની વાણીથી બેાલવા લાગ્યો.

“મૃત્યુલોકનાં માનવી ! તમે અહી શા કારણથી આવો છો ને કોણ છો ?”

બે જણ ઉભાં રહ્યાં ને સરસ્વતીચંદ્ર બોલ્યો.

“અમર સિદ્ધાંગનાઓએ અમારા ચરણને આણીપાસ પ્રેર્યા છે ને અમે તેમનાં બાળક છીયે. પણ તમે કોણ છે અને આ સ્થાને શા અધિકારમાં છો ?”

શ્વાન.– પાણ્ડવોએ સ્વર્ગને માટે મહાપ્રસ્થાન કર્યું ત્યારે અમારા પૂર્વજ ધર્મરાજાની સાથે સ્વર્ગમાં સ્વદેહથી ગયા હતા. તે પછી સિદ્ધલોકનાં ઘણાંક ગોપુરમાં અમે દ્વારપાળનું કામ કરીયે છીયે. ધર્મરાજાના કાળથી અમે તેમના ધર્મસંગ્રહનું અધર્મીઓથી રક્ષણ કરીએ છીયે.

સર૦- કેવી રીતે રક્ષણ કરો છો ?