પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦૭


“ધાર્યું હતું કે આવો શોક જોવો ન પડે માટે આ વાત ન ક્‌હેવી. નવી અવસ્થાએ નવો ધર્મ ઉભો કર્યો અને મ્હારી ધારણા બદલાઈ. જ્યાં સુધી મને સ્થૂલ કામની ભીતિ હતી ત્યાં સુધી કુમુદ પોતાને અવિધવા ધર્મથી બંધાયેલી ધારે તે જ ઈષ્ટ હતું. એ ભીતિ હવે બે પક્ષની ગઈ. પોતાને અવિધવા સમજનારી હવે પોતાને વિધવા જાણેછે. સ્થૂલ કામનાં શસ્ત્ર અત્યારે ખડાં થયાં હત, તો, હું અત્યારે એમ જ સમજત કે હવે આ મ્હારી ભોગ્ય વસ્તુ છે, અને અન્ય નેક ક્રૂર અપકારોએ ક્ષત કરવા માંડેલી પણ આત્મબળે અક્ષત રાખેલી પતિવ્રતા આ પળે ક્ષત થઈ જાત ! અસ્વામિકા થયલી અનાથ બાળા કામનાં શસ્ત્રોનું અભિનન્દન કરી બેસત ! હવે એ ભય એનું પણ ગયું ને મ્હારું પણ ગયું. ઈશ્વરની પરમ કૃપાએ અને ઉભય પક્ષની કલ્યાણબુદ્ધિએ આ શમ અને દમને પુણ્ય માર્ગ પ્રત્યક્ષ કરાવ્યો ! સૂક્ષ્મ પ્રીતિએ સ્થૂલ પ્રીતિને ઉતારી નાંખી અને પોતાનું જ નિષ્કંટક રાજ્ય કરી દીધું. કુમુદ ! તું જે શોકથી અત્યારે ગ્રસ્ત થઈ છે તે હવે ત્હારું કલ્યાણ કરશે એમ ધારીને મ્હેં આ શસ્ત્રવૈદ્યના જેવી ક્રુરતા વાપરી છે. એનાં અન્ય દુ:ખ એટલાં બધાં વધ્યાં હતાં કે તેમના પ્રહાર ખમતાં ખમતાં આ કોમળ હૃદયને તે દુ:ખોમાંથી જ બોધ લેવાનો અવકાશ મળી શક્યો ન હતો. એ પ્રહારોમાંનો છેલો પ્રહાર એને મળી ચુક્યો ને શોકમાંથી વિચારકાળ હવે ઉદય પામશે. ઈશ્વરે દુ:ખ અને શોકની સૃષ્ટિ મનુષ્યોનાં સૂક્ષ્મ જીવનને સિદ્ધ કરવાને માટે જ રચી છે. દુ:ખ અને શોક જાતે આમ પરિપાક પામીને પછી નષ્ટ થાય તો જ કલ્યાણકારક છે.

"He that lacks time to mourn, lacks time to mend.
Eternity mourns that. 'Tis an ill cure
For life's worst ills to have no time to feel them:
Where sorrow's held intrusive and turn'd out, .
There wisdom will not enter, nor true power,
Nor aught that dignifies humanity.* [૧]

“ કુમુદ ! ત્હારા આ દુ:ખમાંથી ત્હારું હૃદય કોક પવિત્ર પરિણામ જ આણશે. પાઞ્ચાલી ! ચિરંજીવ મહાત્માઓનાં સ્વપ્ન તને દુ:ખમાંથી સિદ્ધ થતી દેખાડે છે ત્યારે કુમુદ પોતાના સૂક્ષ્મ જીવનને પણ દુ:ખમાંથી જ સિદ્ધ થતું આ જાગૃત અવસ્થામાં દેખાડે છે.


  1. Sir H. Taylor.