પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯
“ભાટ બ્રાહ્મણનું લાકડું વણ પેંસાડ્યું પેંસે,
“કહ્યું હોય કે ચોરે આવજો તો ઘરમાં આવીને બેસે.

“ઈંગ્રેજી વિદ્યા આપનાર બ્રાહ્મણોનાં અને વર્તમાનપત્રોના ભાટનાં લાકડાં તો પોતાની સ્વતંત્ર સત્તાથી અમારામાં પેસવાનાં જ*[૧] અને એ લાકડું પેઠું એટલે અમારા છોકરાં તેને વશ થઈ તેની કળા શીખવાના જ.”

ચંદ્ર૦ - “ભાઈ સરકારનો સ્વાર્થ તમને જીવાડવામાં છે એવો અનુભવ થયલો સાંભળવામાં નથી. પણ માનો કે એમ છે, તમારા પ્રભાવથી જે વિદ્યા તમે મેળવવાના નથી તે વિદ્યા તમારા મગજમાં બળાત્કારે પ્રવેશ કરી તમારા અંધકારનો નાશ કરે અને રાજત્વને યોગ્ય બુદ્ધિવિકાસને તમે પામો એવું માનીયે, તો પણ એટલું તો સત્ય ગણશો જ કે તમે એટલો પ્રવાસ કરશો એટલામાં ઈંગ્રેજ સરકાર તમારાથી પચાસ ગણો વધારે પ્રવાસ કરશે અને તમે પાછળના પાછળ ર્‌હેવાના; અને તમારા પગ થાકશે એટલે તમે એથી પણ વધારે પાછળ પડવાના ને ઈંગ્રેજને ગાળો દેવાના, બળાત્કારે નીશાળે જતો નીશાળીયો નથી વધતો વિદ્યામાં ને નથી વધતો સંસારમાં. ધીમા માણસને આંગળીયે લઈ ચાલનાર ઉતાવળો માણસ આખરે ધૈર્ય ખુવે છે ને ધીમા માણસને છુટો મુકી પોતાને રસ્તે એકલો પડે છે. એવી રીતે છુટો પડેલો ધીમો માણસ નથી ર્‌હેતો ઘેર અને નથી પ્હોચતો ઠેકાણે, પણ વચગાળે આથડે છે ને દુ:ખી થાય છે. લાંબાની સાથે ટુંકો જાય, ને મરે નહી તે માંદો થાય. આજ યુરોપના પ્રવાહ એવા વેગબન્ધ ચાલે છે કે તેમાં તમારી આ દશા આવશ્યક લાગે છે. તમારા હૃદયની ઉદાત્તતા – તમારી પ્રકૃતિ – તમને નહી મુકે, પણ આ નવી કળાઓમાં આપણા રાજાઓ પાછળ પડશે અને વશે કે કવશે રાજત્વથી ભ્રષ્ટ થવાના. તે વિષયમાં તેમનાં પુણ્ય પરવારેલાં નહી તો પરવારતાં દેખાય છે, અને પરવારી ર્‌હેશે એટલે પ્રજાવર્ગમાં આવશે. શાસ્ત્રકારો કહી ગયા છે કે દેવતાઓ क्षीणे पुण्ये मृत्युलोके वसन्ति. પછી તો દેવતાઓના પૃથ્વી પર જન્મ મ્હોટાઓને ઘેર થાય તેમ રાજાઓના નવા દેહ ઉદાત્ત જમીનદારોના અવતાર ધરશે.”

પ્રવીણ૦ – “રાજાઓની વાતમાં તમે બે જણ નૈરાશ્યદર્શી – pessimists – છો; અમે આશાદર્શી – optimists – છીએ. તમે જો ઇંગ્રેજોને


  1. * Asia and Africa themselves will perhaps be gradually Europeanized through the preponderance given to European ideas by the independent forces of the new world,- E. J. Payne.