પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


નવજીવન સંસ્થાના કાર્યને અંગે મારું ગાંધીજી, સરદાર અને મહાદેવભાઈ તેમ જ બીજા મુરબ્બીઓ સાથે સંબંધમાં આવવાનું થયું. સંસ્થા સાથેના અને તેના કામની સાથેના મારા સંબંધને લીધે મારો એ સૌ સાથે નિકટનો સંબંધ બંધાયો છે. પરંતુ એ બધામાંથી ઉપર ગણાવેલ ત્રણની સાથે કેવળ કામને અંગેના સંબંધ ઉપરાંત અંગત મમતાનો સંબંધ પણ કેળવાયો છે, એ ત્રણે પ્રત્યેનું મારું ઋણ અદા કરવામાં એ ત્રણનાં ચરિત્રો આપવાની નવજીવન સંસ્થા ઉપરાંત મારી અંગત જવાબદારી હું માનતો આવ્યો છું. તેથી ‘મહાદેવભાઈના પૂર્વ ચરિત’ની માફક આ ચરિત્રના પ્રકાશનને અંગે કેવળ પ્રકાશકનું ઔપચારિક નિવેદન કરવાને બદલે આ અંગત નિવેદન કરવાની મેં છૂટ લીધી છે.

સરદાર વલ્લભભાઈ પટેલને માટે ગુજરાતી બોલનારી પ્રજાને ઊંડો પ્રેમ છે. તેની સાથે હિંદની બીજી બોલીઓ બોલનારી પ્રજાઓ પણ તેમના પર પ્રેમ રાખે ને તેમનું ચરિત્ર જાણવાને ઈચ્છે એ કુદરતી છે. એ વાત લક્ષમાં રાખી આ ચરિત્રના હિંદીમાં ને હિંદની બીજી ભાષાઓમાં અનુવાદ કરાવવાનું ઠરાવેલું છે એટલું જણાવી આ અંગત અને પ્રમાણમાં વિસ્તૃત નિવેદન હું પૂરું કરું છું.

અમદાવાદ, ૧૦–૧૦–’પ૦
જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ