પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦


સરદારનો મારી ઉપરનો વિશ્વાસ અને પ્રેમ એ પણ આ પુસ્તક લખવાનું સ્વીકારવામાં મોટું કારણ છે. સરદાર મને એ વખતે ન ઓળખતા હોય પણ હું એમને ૧૯૧૪થી ઓળખતો. ત્યાર પછી વકીલાતના કામને અંગે બેએક વાર એમના પ્રસંગમાં આવવાનું બનેલું. પછી ૧૯૧૭માં હું આશ્રમમાં દાખલ થયો અને એ પણ ગાંધીજીના સમાગમમાં આવ્યા ત્યારથી તેઓ હમેશાં મને એક નાના ભાઈ તરીકે ગણતા આવ્યા છે. આ તેત્રીસ વરસના તેમના નિકટ પરિચયમાં તેમના એક વિશ્વાસુ સાથી તરીકે કામ કરવાનો લહાવો મને બહુ મળ્યો છે. તેમાં કોઈ કોઈ વાર તેમને દૂભવ્યાના પણ પ્રસંગો બન્યા છે. તેમની વાત હું બરાબર ન સમજી શક્યો હોઉં તે કારણે, અથવા મારી ભિન્ન માન્યતાને લીધે ન સ્વીકારી શક્યો હોઉં તે કારણે તેમનું કહ્યું મેં નથી માન્યું એવું કોઈ કોાઈ વાર બન્યું છે. પણ તેથી મારા પ્રત્યેના મમત્વમાં અને પ્રેમભાવમાં તેમણે રજ પણ ન્યૂનતા આણી નથી. એમને બરાબર ન ઓળખી શક્યા હોય એવા માણસોમાં એવી એક માન્યતા પ્રચલિત છે કે જે એમનો વિરોધ કરે એને જડમૂળથી ઉખેડી નાખવાનો એમનો સ્વભાવ છે. મને એમ જણાયું છે કે કોઈ માણસ દેશને નુકસાન થાય એવી પ્રવૃત્તિ કરતો હોય અથવા સેવાને નામે પોતાનો સ્વાર્થ સાધવાની પેરવી કરતો હોય તો તેનું તેઓ ચાલવા ન દે અથવા તેને ફાવવા પણ ન દે એ ખરું; પણ કોઈ માણસ પ્રમાણિકપણે એમનાથી ભિન્ન મત ધરાવે અને તે પ્રમાણે પોતાની પ્રવૃત્તિ ચલાવે, એની કશી હાડછેડ તેઓ કરતા નથી પણ તેની કદર કરે છે.

સરદાર લોખંડી પુરુષ કહેવાય છે. જાહેર કામકાજમાં પોતાના વિરોધી અથવા તો પોતાના પક્ષમાં પેસી ગયેલા ખોટ્ટા માણસોને માટે એ લોખંડી પુરુષ કદાચ ગણાય, પણ અંગત સંબંધો અને વ્યવહારમાં તો મેં એમને એટલી નરમાશવાળા અને ‘હશે, જતું કરો’ એવી ઉપેક્ષાવૃત્તિવાળા જોયા છે કે એમના લોખંડીપણા વિષે શંકા ઉત્પન્ન થાય. જાહેર જીવનમાં એ વજ્રથી પણ કઠોર થઈ શકે છે, પણ અંગત અથવા ખાનગી સંબંધમાં તે કુસુમ કરતાં પણ મૃદુ છે. માત્ર પોતાની અંદર રહેલા મૃદુપણાનો બાહ્ય દેખાડો તેઓ નથી કરતા તેને લીધે ઉપલક જોનાર માણસો એ પારખી ન શકે એવું બને છે ખરું.

જેને પોતાનો ગણ્યો એના પ્રત્યે એમની મમત્વની લાગણી બહુ ભારે છે. તેના સુખદુ:ખમાં ભાગ લેવા અને એની મુશ્કેલીઓમાં મદદ કરવા તેઓ હંમેશા તત્પર રહે છે. માણસને તેના પગલા ઉપરથી તેઓ પારખી લે છે, ખોટા માણસને ચાળી કાઢે છે, પણ પસંદ કરેલા માણસોમાંથી કોને કયું કામ સોંપી શકાય એ તેઓ બરાબર જાણે છે, અને એ પ્રમાણે તેની પાસેથી કામ લે છે. માણસની પસંદગી કરતી વખતે તેઓ પાકો વિચાર