પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬
સરદાર વલ્લભભાઈ


રૂપિયામાંથી રૂપિયા દસ હજાર લઈને પેલા ભાઈ તા. ૫મી જાન્યુઆરીએ મ્યુનિસિપલ શિક્ષકોને પગાર આપવા સારુ ઑફિસમાં ગયા. પરંતુ મ્યુનિસિપલ શિક્ષકોએ તેમની પાસેથી પગાર લેવાની ના પાડી.

પછી તા. ૬-૧-’રરના રોજ જનરલ બોર્ડની મીટિંગ થઈ. તેમાં દી○ બ○ હરિલાલભાઈ તા. ૨૩-૧૨-’૧ના રોજ જે ઠરાવ લાવેલા તેમાં બદલાયેલી પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર કરીને પોતાનો ઠરાવ લાવ્યા. તેમાં દર્શાવ્યું કે ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સપેક્ટરને માત્ર પરીક્ષા લેવાનો અને નિરીક્ષણ કરવાનો જ અધિકાર છે. તેથી સ્કૂલ્સ કમિટી શાળાઓનો કબજો અને વહીવટ ચાલુ રાખશે. વળી બૅન્કમાંથી રૂપિયા ઉપાડવાનું કમિશનરનું કૃત્ય ગેરકાયદે છે. તેથી ઈમ્પીરિયલ બૅન્કને નોટિસ આપવી કે સદરહુ રકમ મ્યુનિસિપાલિટીના ખાતામાં પહેલાં હતી તેમ તેણે ફેરવી નાખવી અને તેમ ન કરે તો તેના ઉપર દાવો માંડવો. આ ઠરાવ ભારે બહુમતીથી પસાર થયો.

કમિશનરને ખાતરી જ હતી કે અસહકારી સભ્યો, એમને સરદાર જેવા આગેવાન મળ્યા હતા એટલે, પોતાના હુકમને ગાંઠવાના નથી અને શાળાઓનો કબજો છોડવાના નથી. વળી એના મનસ્વી અને કાયદાવિરુદ્ધ વર્તનને લીધે દી○ બ○ હરિલાલભાઈ જેવા બિનઅસહકારી સભ્ય પણ ગુસ્સે થયા હતા અને છેવટ છેવટના ભાગમાં તો આ લડતમાં આગેવાનીભર્યો ભાગ તે જ લેતા હતા. જનરલ બોર્ડ જે ઠરાવ કરે તેની નકલ તરત જ પોતાને મોક્લી આપવાનું કમિશનરે મ્યુનિસિપલ પ્રમુખને કહી રાખ્યું હતું. તે મુજબ ચીફ ઑફિસર તેની પાસે તે દિવસે રાતે જ નકલ લઈને ગયા. એણે કલેક્ટર સાથે મસલત કરી તેની પાસે નીચે પ્રમાણે હુકમ કઢાવ્યો. તેના ઉપર તારીખ ૭મીની હતી છતાં છઠ્ઠીએ રાતે જ – લગભગ મધરાતે – મ્યુનિસિપલ પ્રમુખને એ પહોંચાડ્યો :

“અમદાવાદ મ્યુનિસિપાલિટીની તા. ૬-૧-’૨૨ના રોજ મળેલી જનરલ મીટિંગનાં પ્રોસીડિંગ્સ વાંચીને કલેક્ટરનો એ અભિપ્રાય છે કે પ્રાથમિક શાળાઓ વિષે જનરલ બોર્ડના ઠરાવનો નીચેનો ભાગ કે ‘ઉત્તર વિભાગના કમિશનરને જણાવવું કે સ્કૂલ્સ કમિટી શાળાઓ નિભાવવાનું અને તેને વહીવટ કરવાનું ચાલુ રાખશે અને અમદાવાદ વિભાગના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટરને નિરીક્ષણ કરવાની તેની કહેવાતી ફરજ બજાવવા ઉપરાંત બીજી દરમિયાનગીરી કરવાની કશી સત્તા રહેશે નહીં.’ એ ગેરકાયદે છે, કારણ તેથી ઉત્તર વિભાગના કમિશનરે ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઍક્ટની કલમ ૧૭૮ (૨) અને (3) મુજબ કાઢેલો હુકમ અસરકારક રહેતો નથી.
“તેથી કલેક્ટર કલમ ૧૭૪ (૧) મુજબ સદરહુ ઠરાવના ઉપર જણાવેલા ભાગનો અમલ કરવાની અટકાયત કરે છે. અને મ્યુનિસિપલ પ્રમુખને હુકમ કરે છે કે, તેમણે એનો અમલ કરવો નહીં.”