પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


૧૯

લડતનો પડકાર, ચૌરીચોરાનો હત્યાકાંડ અને
ગાંધીજીની ગિરફતારી

આપણા દેશના સ્વાતંત્ર્યયુદ્ધના ઇતિહાસમાં સને ૧૯૨૧ની સાલ સુવર્ણ અક્ષરે કોતરાયેલી રહેશે. પોતે જાહેર કરેલી શરતોનું લોકો પાલન કરે તો એક જ વર્ષમાં હિંદુસ્તાનના લોકોના હાથમાં સ્વરાજ આવીને પડે એમ ગાંધીજીએ તેમને વચન આપ્યું હતું. એટલે લોકોના દિલમાં એક અનેરો ઉત્સાહનો અને આશાનો સંચાર થયો હતો. ખાદીના, અસ્પૃશ્યતાનિવારણના, હિંદુમુસલમાન એકતાના તથા અદાલતો, શાળાઓ તેમ જ ધારાસભાઓના બહિષ્કારના કાર્યક્રમ પાછળ લોકો જોસથી મંડી પડ્યા હતા. જૂનની ૩૦મી પહેલાં તિલક સ્વરાજ ફાળામાં કરોડ રૂપિયા એકઠા કરવાનો તથા કૉંગ્રેસને ચોપડે એક કરોડ સભ્યો નોંધવાનો કાર્યક્રમ પૂરો થયા પછી જુલાઈ માસમાં મહાસમિતિની બેઠક મુંબઈમાં થઈ. એ બેઠકમાં ઉત્સાહથી તરવરતા કેટલાક સભ્યોએ સત્યાગ્રહ શરૂ કરવાને ગાંધીજીને બહુ દબાણ કર્યું. સરકાર તરફથી એક પછી એક એવાં પગલાં લેવાતાં હતાં કે લોકો અકળાઈ ઊઠ્યા હતા. ઉત્તર હિંદુરતાનમાં જ્યાં ત્યાં કાર્યકર્તાઓ તથા સ્વયંસેવકોની ધરપકડો ચાલી રહી હતી. છતાં ગાંધીજીએ હજી ધીરજ રાખવાની સલાહ આપી. અને ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં વિલાયતી કાપડનો બહિષ્કાર પૂરું કરવાનું જણાવ્યું. ત્યાર પછી તા. ૩ તથા ૪ નવેમ્બરના રોજ દિલ્હીમાં મળેલી મહાસમિતિની બેઠકમાં સત્યાગ્રહની બાબતમાં નીચેનો ઠરાવ થયો :

“આ વર્ષની આખર પહેલાં સ્વરાજ્ય સ્થાપવાના રાષ્ટ્રના નિશ્ચયને પૂરેપૂરો અમલમાં આણવાને હવે એક માસથી બહુ વધારે વખત નથી. અલીભાઈઓ અને બીજા નેતાઓ પકડાતાં અને કેદમાં પુરાતાં સંપૂર્ણ અહિંસાનું પાલન કરીને પ્રજાએ આત્મસંયમ માટેની પોતાની શક્તિ બતાવી આપી છે; અને સ્વરાજસ્થાપનાને માટે જરૂરી ગણાય એટલી તાલીમ લેવાને સારુ હજી વધારે દુ:ખ સહન કરવાની અને શાંતિ જાળવવાની શક્તિ બતાવવી એ રાષ્ટ્રને માટે ઇષ્ટ છે; તેથી મહાસમિતિ નીચેની શરતોએ દરેક પ્રાંતની પ્રાંતિક સમિતિને પોતપોતાની જવાબદારી પર અને પોતાને વિશેષ અનુકૂળ લાગે તેવી પદ્ધતિએ સત્યાગ્રહ (કરો આપવાનો ઇનકાર કરવાની હદ સુધી) શરૂ કરવાની સત્તા આપે છે.
૨૨૦