પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.

૨૦

ગાંધીજીની ગિરફ્તારી પછી

ગાંધીજીને જેલમાં વિદાય કરીને આવ્યા પછી સૌ સાથીઓને હૃદયમાં જાણે સૂનકાર લાગવા માંડ્યો. છેલ્લા દોઢ વરસમાં ગાંધીજીએ એક પછી એક ઉપરાઉપરી એટલા કાર્યક્રમો આપ્યા હતા અને એ બધા કાર્યક્રમો એવા ગરમાગરમ હતા કે રાતદિવસ કામમાં મંડ્યા રહ્યા છતાં તેની ખુમારીમાં કોઈને થાક જેવું તો વર્તાયું જ નહોતું. જેલ જતી વખતે ગાંધીજી તો કહેતા જ ગયા હતા કે, ‘મારા હાથમાં ખાદી મૂકો અને મારી પાસેથી સ્વરાજ લો.’ પણ સરકારને લડત આપવાની ગરમીમાં રેંટિયો ચલાવવો એક વાત હતી અને તદ્દન ઠંડા વાતાવરણમાં રેંટિયો ચલાવવો એ જુદી વાત હતી. સરદાર ઉપર બોજ સૌથી વધારે હતો. ગાંધીજી બહાર હતા ત્યારે સરદાર કામ ઓછું નહોતા કરતા, પણ તેઓ પૂરેપૂરા નિશ્ચિંત રહી શકતા. હવે તો જુદી જુદી પ્રકૃતિના બધા સાથીઓને સાચવવાના હતા. દરેકને તેની તેની યોગ્યતા પ્રમાણે કામ આપવાનું હતું, લોકોનો ઉત્સાહ ટકાવી રાખવાનો હતો અને ભલે સરકારે ગાંધીજીને છ વરસની સજા કરી પણ સજાની મુદત પૂરી થયા પહેલાં તેમને છોડાવી શકાય એવું વાતાવરણ પેદા કરવાનું હતું. સરદારની ગણના હજી મોટા નેતાઓમાં નહોતી થતી પણ તે વખતેય તે ગુજરાતના સૂબા તો કહેવાતા અને બીજા પ્રાંતો ગાંધીજીની ગેરહાજરીમાં ગાંધીજીને રસ્તે ચાલે કે નહીં, પણ ગુજરાત તો ગાંધીજીએ આપેલા કાર્યક્રમને વળગી જ રહે, રચનાત્મક કાર્યની જેટલી સંસ્થાઓ ચાલતી હતી તે એટલા જ જોસભેર ચાલતી રહે, અને પ્રસંગ આવ્યે ગાંધીજીની ગેરહાજરીમાં પણ ગુજરાત સવિનય ભંગની લડત લડી બતાવે એ તેમની અભિલાષા હતી. ગાંધીજી જેલમાં રહ્યા તે દરમિયાન કેવી કેવી મુસીબતો ઊભી થઈ અને તેમાંથી માર્ગ કાઢી ગુજરાતના ઉત્સાહનો પારો તેમણે કેવો ચઢતો રાખ્યો તે હવેની તેમની કારકિર્દીમાંથી આપણે જોઈશું.

સરદારને પોતાના મનમાં જવાબદારીનો બોજ ગમે તેટલો ભારે લાગ્યો હશે પણ ધીરવીર નાયકની માફક જરાયે ગભરાયા વિના તે બોજ હળવા ફૂલની માફક તેમણે ઉપાડી બતાવ્યો. ગાંધીજીની ગિરફતારીને બીજે જ દિવસે તેમણે ગુજરાતનાં ભાઈબહેનોને ઉદ્દેશીને નીચેનું નિવેદન બહાર પાડ્યું :

“બ્રિટિશ સિંહને આજ સુધીમાં હિંદુસ્તાને અનેક શિકારનો ભોગ ધરાવ્યો છે. પણ આવો પવિત્ર શિકાર મળવાનું ભાગ્ય તો એને