પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૪
સરદાર વલ્લભભાઈ

લખીને લોકોને તેઓ આશ્વાસન આપી રહ્યા હતા અને સ્વયંસેવકોને માર્ગદર્શન કરી રહ્યા હતા. મદદ માટે નાણાંની અપીલ કરતાં તેમણે લખ્યું :

“હું દોડી આવવાજોગ નથી રહ્યો. આ તરફ (દક્ષિણ)નાં મહાપૂરોનો જેમને ખ્યાલ છે તેઓ અત્યારે ગુજરાતનાં ગામેગામ કેવાં ખાવા ધાતાં હશે એ કંઈક કલ્પી શકે એમ છે. ખેડા જિલ્લાનો બાહોશ અને મહેનતુ ખેડૂત ત્યાંની આબાદીનો આધારસ્તંભ છે. તેનાં ઘરમાલ તારાજ થાય અને ગામડાંની ભાગોળો તેનાં કીમતી ઢોરોની લાશાથી ગંધાઈ ઊઠે એ ચિતાર હૃદયભેદક છે.
“કરોડોનું નુકસાન તત્કાળ ભરપાઈ કરવાને માણસની ગમે તેટલી મહેનત પણ અસમર્થ છે. કરોડોની કિંમતનાં પાક, ઢોર, ઘરવખરી તથા બી નાશ પામ્યાં. ખેડૂતોએ મહામહેનતે ખેતરોમાં પૂરેલાં કીમતી ખાતર સમુદ્રમાં જઈ સમાયાં. એ ખોટ કોણ પૂરી શકે ? પણ જેણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે, તેના જખમ પર પ્રેમ અને આશ્વાસનનો એક બોલ પણ દવારૂપ છે. મને આશા છે, મારી આ અપીલ જેના જેના વાંચવામાં આવે તે મદદ કર્યા વિના નહીં રહે.
“સંકટનિવારણનું કામ ગુજરાત પ્રાંતિક સમિતિ હેઠળ ચાલી રહ્યું છે. વલ્લભભાઈ પાસે અનુભવી અને તાલીમ પામેલા, ગુજરાતનાં ગામેગામના ભોમિયા કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો પડ્યા છે. તેથી દાન આપવા ઇચ્છનારાઓએ કોઈ જાતનો અંદેશો રાખવાનું કારણ નથી. . . . અત્યારે જે વહેલું આપો તેણે બમણું આપ્યા બરાબર લેખાશે.”

વિદ્યાર્થીઓને સંબોધીને તેમણે બીજા એક લેખમાં લખ્યું :

“વિદ્યાર્થીઓ સંકટનિવારણમાં જાતમહેનતનો ફાળો સરસ રીતે આપી રહ્યા છે એ વાંચીને મારું હૃદય ફૂલે છે. . . . મારી ઉમેદ છે કે કોઈ વિદ્યાર્થી એમ નહીં માનતા હોય અથવા વિદ્યાર્થિની એમ નહીં માનતી હોય કે, ‘ભણતર છોડીને આ ઉપાધિમાં ક્યાંથી પડ્યાં.’ એમ મનમાં ઉદ્વેગ થાય તો એ સેવા શરમે અને કમને કરી ગણાય, ને એટલી કાચી.”

દાનનો સદુપયોગ થાય, લોકો લાલચુ ન બને અને સ્વયંસેવકો વિચારપૂર્વક બધું કામ કરે એ વિષે તેમની સૂચનાઓ બહુ કીમતી છે :

“છેક ગરીબ રહી જાય અને બળિયો લઈ જાચ એ ભયથી પણ બચવાનું છે. જોકે તાણ છતાં મદદ નહીં જ લેનારાના સુંદર દાખલા મારી પાસે અત્યારથી જ આવવા લાગ્યા છે. તોપણ મદદ મળે છે તેથી લઈ લેનારા પડ્યા જ છે એમ હું પૂર્વના અનુભવ ઉપરથી જાણું છું. જ્યાં આપવાની જરૂર ન હોય ત્યાં ખોટી દયાથી, ડરથી કે શરમથી એક કોડી પણ ન આપવાનો નિયમ એટલો જ આવશ્યક છે જેટલો લાયક ને ગમે તે ભોગે મદદ પહોંચાડવાનો છે.