પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૫
ગુજરાતમાં રેલસંકટ


“આ ભયાનક પ્રસંગે માણસનું મન બહુ ઉદાર થાય છે, ને માગે તેને તે આપવા ઇચ્છે છે. આવા અમર્યાદિત દાનથી લોકોનું ભલું થાય છે એમ હું નથી માનતો. સામાન્ય નિયમ તો એ છે કે સૌએ પોતપોતાની ઉપર આવી પડેલું દુ:ખ ઉપાડી લેવું. જો બધા પોતપોતાનો બોજો ઊંચકી લે તો આ જગતમાં અપંગ બહુ થોડા જ નીકળે. પણ ઘણા માણસો અનેક પ્રકારે બીજાની ઉપર બોજારૂપ થઈ પડે છે અને અધિકાર કરતાં વધારે ભોગ ભોગવે છે. તેથી જ દરિદ્રી અને અપંગની મોટી સંખ્યા જોવામાં આવે છે. એટલે આ પ્રસંગે ખરી અને મોટામાં મોટી મદદ તો થોડા જ દિવસો સુધી કરવાની હોય છે. જેની પાસે ખાવા પહેરવાનું ન હોય તેને થોડી મુદ્દતને સારુ તે પહોંચાડવું. પછી તો સહુને તેમનો માર્ગ બતાવવાનું રહે છે. જેના હાથપગ સાજાતાજા છે તેને પૈસાનું દાન ઘણે ભાગે ન જ હોય.”

નવરચના બાબત તેમણે લખ્યું :

“મહાપ્રલય પછી તો નવી જ સુષ્ટિ રચાય છે. આ પ્રલય મહાપ્રલયમાં ભલે ન ખપે પણ જાત તો એ જ છે. તેથી જે સ્વયંસેવકો સુધારક હોય, જ્ઞાની હોય, ધીરજવાન હોય તે નવી સૃષ્ટિ પણ રચે. લોકોની બૂરી આદતો હોય તેનો હોમ કરવા તેમને લલચાવે. ઘરો બાંધવામાં નવા વિચારો દાખલ કરાવે. જે ગામ ઉજ્જડ થઈ ગયાં છે તે જેમ તેમ પાછાં ઊભાં થાય, તેને બદલે તેની નવી સુવ્યવસ્થિત રચના થાય. જ્યાં વખતોવખત રેલો આવતી હોય તેવાં ગામો ખસેડીને બીજે નવાં વસાવાય.
“પણ આ કામ એક હાથે ન થાય. તેમાં સમાજનાં અગ્રગણ્ય અને ડાહ્યા સ્ત્રીપુરુષોની સલાહ ને પ્રવૃત્તિ હોય. એમાં તો રાજ્યસત્તાનો પણ શુદ્ધ સહકાર જોઈએ.
“મારી પ્રાર્થના તો વલ્લભભાઈની અને એવા પ્રકારની ટુકડીઓને ઉદ્દેશીને છે.”

ગાંધીજીની આ સલાહની લોકો ઉપર તેમ જ કાર્યકર્તાઓ ઉપર સારી અસર થઈ અને નવરચનાનું કામ બને તેટલું સુવ્યવસ્થિત કરવાનો પ્રયત્ન થયો. મુંબઈ સરકારના નાણામંત્રી સર ચૂનીલાલ મહેતાએ ધારાસભામાં સંકટનિવારણને અંગે થયેલા ખર્ચનો હિસાબ રજૂ કરતાં પોતાના ભાષણમાં સરદારની સમયસૂચકતા, બાહોશી અને વ્યવસ્થાશક્તિની બહુ તારીફ કરી અને ગાંધીજીની ગેરહાજરીમાં તેમના સ્થાનને સારું દીપાવ્યું એમ જાહેર કર્યું. કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોએ જે શિસ્ત અને કુશળતા બતાવી, તે પણ ગાંધીજીની આટલાં વર્ષની તાલીમનું સુપરિણામ છે એમ સ્વીકાર્યું.

સરકારે મિ. ગૅરેટને રેલ સંકટનિવારણના ખાસ અમલદાર નીમ્યા હતા. તેને અંગે મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓના તેઓ ઠીક ઠીક પરિચયમાં આવ્યા. અસહકારીઓ સરકાર સામે ધાંધલ ઊભું કરવાની જ પ્રવૃત્તિ કરે છે એવી