પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૩
બારડોલી સત્યાગ્રહ


“સરદાર શાર્દૂલસિંહ કવીશ્વરની સૂચના વિષે વલ્લભભાઈ શું કહેશે તેની મને ખબર નથી. પણ બારડોલીની સહાનુભૂતિની ખાતર મર્યાદિત સત્યાગ્રહ કરવાનો પણ સમય આવ્યો નથી. બારડોલીએ હજી તાવણીમાંથી પસાર થવાનું છે. જો છેવટની તાવણીમાંથી એ નીકળશે અને સરકાર છેલ્લી હદ સુધી જશે તો સત્યાગ્રહને હિંદુસ્તાનમાં ફેલાતો અટકાવવાની અથવા બારડોલી સત્યાગ્રહનો હેતુ સંકુચિત છે તેને બદલે વિસ્તૃત થતો અટકાવવાની વલ્લભભાઈની કે મારી મગદૂર નથી. પછી તો સત્યાગ્રહની મર્યાદા એ કેવળ આખા દેશની આત્મબલિદાન અને કષ્ટસહનની શક્તિથી બંધાશે. જો એ મહાપ્રયોગ આવવાનો જ હશે તો તે સ્વાભાવિક રીતે જ આવશે, અને તેને ભલો ભૂપ પણ અટકાવી શકવાનો નથી. પણ સત્યાગ્રહનું રહસ્ય હું જે રીતે સમજું છું તે રીતે તો શ્રી વલ્લભભાઈ અને હું સરકારની ગમે તેટલી ઉશ્કેરણી છતાં બારડોલી સત્યાગ્રહને તેની મૂળ મર્યાદામાં જ રાખવાને બંધાયેલા છીએ — પછી ભલેને એ ઉશ્કેરણી એ મર્યાદા ઓળંગવાનું વાજબી ઠરાવે એટલી બધી હોય. સાચી વાત એ છે કે સત્યાગ્રહી સદાયે માને છે કે, ઈશ્વર તેનો સાક્ષી છે, ઈશ્વર તેને દોરી રહ્યો છે. સત્યાગ્રહીઓનો નેતા પોતાના બળ પર નથી ઝૂઝતો પણ પ્રભુના બળ ઉપર ઝૂઝે છે. તે અંતરાત્માને વશ વર્તે છે. એટલે ઘણી વાર બીજાને જે શુદ્ધ વ્યવહાર લાગે છે તે તેને ઇંદ્રજાળ લાગે છે. હિંદુસ્તાન ઉપર આજે તુમુલમાં તુમુલ લડત ઝઝૂમી રહી છે તે ઘડીએ આવું લખવું મૂર્ખાઈભરેલું અને સ્વપ્નદર્શી લાગે. પણ મને જે ઊંડામાં ઊડું સત્ય લાગે છે તે જો હું પ્રગટ ન કરું તો દેશનો અને મારા આત્માનો હું દ્રોહી બનું. જો બારડોલીના લોકો વલ્લભભાઈ માને છે એવા સાચા સત્યાગ્રહી હોય તો સરકાર ગમે તેટલાં શસ્ત્ર ધરાવતી હોય તો પણ બધું કુશળ જ છે. જોઈએ છીએ શું થાય છે. માત્ર સમાધાનીમાં રસ લેનારા ધારાસભાના સભ્યોને અને બીજાઓને મારી વિનંતી છે કે બારડોલીના લોકોને બચાવવાની આશામાં તેમણે એકે ભૂલભરેલું પગલું ન ભરવું. જેને રામ રાખે તેનો કોઈ વાંકો વાળ કરી શકવાનું નથી.”

સરદાર પકડાશે જ એમ હવે સૌ કોઈ માનતું હતું. તેઓ પકડાય પછી તેમની ગાદી લેવાને બદલે તેઓ પકડાય તે પહેલાં ત્યાં પહોંચી જઈ તેમની પાસેથી હુકમ લેવાનું ગાંધીજીએ બહેતર માન્યું. તા. ૨જી ઑગસ્ટે તેઓ બારડોલી પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે બારડોલી વિષે બારડોલી બહાર જેટલી વાતો થઈ રહી છે તેના સોમા ભાગની બારડોલીમાં થતી નહોતી. સૌ ભાઈઓ અને બહેનો રામભરોસે બેઠાં હતાં અને સરદારનો પડ્યો બોલ ઉપાડવાને માટે તૈયાર હતાં. ગાંધીજીએ આવીને તેમને ઊલટાં વધારે વલ્લભભક્ત બનાવ્યાં.

૧૪

એટલામાં સરદારને રા○ સા○ દાદૂભાઈનું પૂનાથી તેડ્યું આવ્યું. એ તેડાનો તાર ગુજરાતના ધારાસભ્યોને નામે કરવામાં આવ્યો હતો. તેમાં નાણાંમંત્રી