પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


મ્યુનિસિપાલિટીમાં સાફસૂફી

વિલાયતથી બૅરિસ્ટર થઈને આવ્યા બાદ વિઠ્ઠલભાઈએ અને સરદારે કરી લીધેલી કામની વહેંચણીની યોજનાને અનુસરીને સરદાર બંનેના ખર્ચ માટે કમાવાના કામમાં પડ્યા. પણ આ જાતની કામોની વહેચણી લાંબો વખત ટકી નહીં. અમદાવાદમાં આવ્યા એટલે સ્વાભાવિક રીતે જ સરદાર ગુજરાત ક્લબના સભ્ય બન્યા અને રોજ કલબમાં હાજરી આપવા લાગ્યા. તે વખતના અમદાવાદના કેટલાક જાહેર કાર્યકર્તાઓ શ્રી ગોવિંદરાવ પાટીલ, શ્રી શિવાભાઈ પટેલ, શ્રી ચિમનલાલ ઠાકોર, શ્રી મગનભાઈ ચતુરભાઈ પટેલ વગેરે પણ રોજ ક્લબમાં આવતા. આ બધા આગેવાન વકીલો પણ હતા. એ જમાનામાં જાહેર કામ, પછી તે રાજદ્વારી હો કે સામાજિક સ્વરૂપનું હો, તે વકીલ બૅરિસ્ટરોનો ખાસ ઇલાકો ગણાતું. સર રમણભાઈ નીલકંઠ તથા દી. બ. હરિલાલ દેસાઈભાઈ પણ અમદાવાદના આગેવાન જાહેર કાર્યકર્તાઓ હતા. પણ તેમની પાસે પોતાના વકીલાતના ધંધા ઉપરાંત જાહેર સેવાનાં એટલાં બધાં ખાતાં હતાં કે તેમને ક્લબમાં આવવાની ભાગ્યે જ ફુરસદ મળતી. ક્લબમાં બીજાં ગપ્પાંની સાથે અમદાવાદના જાહેર જીવનની તેમ જ દેશની રાજદ્વારી, સાંસારિક અને આર્થિક સ્થિતિની ૫ણ ચર્ચાઓ થતી. આ આગેવાનો તો મુખ્યત્વે એની જ ચર્ચા કરતા અને તેમાંથી નવા જુવાનિયાઓને ઠીક ઠીક શીખવાનું તથા જાણવાનું મળતું.

સને ૧૯૧૪માં સરકારે જિલ્લા મ્યુનિસિપલ ઍક્ટમાં સુધારો કરી વધારે વસ્તીવાળાં મુફસિલ શહેરોની મ્યુનિસિપાલિટીઓને મ્યુનિસિપલ કમિશનર તરીકે સિવિલિયન અમલદારને રાખવાની ફરજ પાડી. સિવિલિયન અમલદાર એટલે કલેક્ટર અને કમિશનરની હારનો માણસ અને તેના હાથમાં મ્યુનિસિપાલિટીનો બધો વહીવટ હોય તો મ્યુનિસિપલ કાઉન્સિલરો તેની શેહમાં તણાય અને તેના ઉપર કશો કાબૂ ન રાખી શકે એ ઉઘાડું હતું. સને ૧૯૧૬ માં મુંબઈ પ્રાંતની રાજકીય પરિષદ અમદાવાદમાં ભરાઈ હતી તેમાં ઠરાવ લાવીને આ ભય રજૂ પણ કરવામાં આવ્યો હતો અને મુફસિલ શહેરોની મ્યુનિસિપાલિટીઓમાં આવા અમલદાર માથાભારે થઈ પડશે એમ જણાવી આ પ્રથા નાબૂદ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પણ સરકારે એ બાબતમાં કોઇ ફેરફાર ન કર્યો.

પહેલા જ મ્યુનિસિપલ કમિશનર મિ. શિલિડી કરીને આવ્યા. તે એવા અમલદારી તોરવાળા અને તુંડમિજાજી હતા કે ઘણાને તેમનાથી અસંતોષ થયો.

૪૫