પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
સરદાર વલ્લભભાઈ


આમ પાણીની તંગીને પહોંચી વળવા માટે કામચલાઉ વ્યવસ્થા કર્યા પછી પાણીનો જથ્થો વધારવા માટે આગળ શાં પગલાં લેવાં તે વિષે મિ. આર. સેન્ટ જ્યૉર્જ મૂર નામના એક નિષ્ણાતને રૂા. ૬,૦૦૦ ફી આપવાનું ઠરાવીને રોક્યા. કારણ સરકારી નિષ્ણાતો ઉપર આધાર રાખવાથી કાંઈ શુક્કરવાર વળે એમ ન હતો તેનો પૂરતો અનુભવ થઈ ચૂક્યો હતો.

પાણી પછી બીજું મહત્ત્વનું કામ શહેરમાંથી ગિરદી ઓછી કરવાનું હતું. મિ. મિરેમ્સ નામના ટાઉન પ્લૅનિંગ એક્સપર્ટે શહેરના વિસ્તાર માટેની એક યોજના નક્શા સાથે કરી આપેલી હતી. આ યોજનામાં સાકર બજારથી લાલ દરવાજા સુધીનો એક રિલીફરોડ નવો કરવાનું સૂચવેલું હતું, જેથી રિચીરોડ (હાલનો ગાંધીરોડ) ઉપરની ભીડ કાંઈક ઓછી થાય. આ યોજના મુજબ રસ્તો બનાવતાં કેટલાં મકાનો કાયદાથી લેવાં (એક્વાયર કરવાં) પડતાં હતાં તેનું અને રસ્તો બનાવવાનું કેટલું ખર્ચ થશે તેના નક્શા તથા ખર્ચનો અંદાજ ચીફ ઑફિસરે બનતી તાકીદે તૈયાર કરવો એવો ઠરાવ જનરલ બોર્ડની તા. ૮–૭–’૨૦ની મીટિંગમાં પસાર કરાવ્યો.

આ વખતે દેશનું રાજકીય વાતાવરણ દિનપ્રતિદિન ગરમ થતું જતું હતું. ગાંધીજીએ અસહકારનું પ્રચંડ આંદોલન દેશમાં જગાવ્યું હતું અને સરદારે તેમાં પૂરેપૂરું ઝંપલાવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપાલિટી પાસે પણ તેના કાઉન્સિલરોની શક્તિ પ્રમાણે અને મ્યુનિસિપાલિટી એક કાયદાથી સ્થપાયેલી સંસ્થા હોઈ તેની મર્યાદામાં રહીને તથા શહેરની સુખાકારીમાં કશી અડચણ ન આવે એ રીતે તેનાથી જેટલો ફાળો સ્વાતંત્ર્યની આ મહાન લડતમાં અપાય તેટલો અપાવવાનો તેમનો પ્રયત્ન હતો. છતાં સરકારી અમલદારો અત્યાર સુધી જે રીતે ટેવાયેલા હતા એ જોતાં, એમને એ ન રુચે એ સ્વાભાવિક ગણાય. મ્યુનિસિપાલિટી બહારની સરદારની અસહકાર અંગેની પ્રવૃત્તિઓ પણ તેમને ખૂંચતી જ હોવી જોઈએ. એક માણસના મ્યુનિસિપલ કામ અને બહારના રાજદ્વારી કામ, એનો તટસ્થતાથી ભેદ પાડી જુદી જુદી દૃષ્ટિએ જોવાની તેમને આદત જ નહોતી. આનો એક દાખલો અહીં આપવો બસ થશે. ૧૯૧૯–૨૦નો અમદાવાદ મ્યુનિસિપાલિટીનો ઍડમિનિસ્ટ્રેટિવ રિપોર્ટ રવાના કરતી વખતે તેની સાથે કલેક્ટરે કાગળ લખ્યો તેમાં સરદારે એ વર્ષમાં બજાવેલી કીમતી સેવાની કદર કરવાની તો ઘેર રહી, પણ એવી ટીકા કરી કે, “બોર્ડમાં કેટલુંક ગરમ ખોપરીવાળું એવું તત્ત્વ છે જેની અસરથી કેટલાક પ્રસંગે બોર્ડે અવિચારી અને કમનસીબ નિર્ણયો લીધા છે, તેમાં પ્રમુખનો કશો વાંક નથી.”

આ ટીકા કોને ઉદ્દેશીને હતી તે સ્પષ્ટ હતું અને સરદાર એ શેના સાંખી લે ? એટલે તા. ૨૭–૯–’૨૦ની બોર્ડની મીટિંગમાં તેઓ ઠરાવ લાવ્યા કે :