પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
સરદાર વલ્લભભાઈ


ત્રીજી વાત તેમણે પરિષદ આગળ એ મૂકી અને તેનો અમલ પણ કરાવ્યો કે પરિષદે એક કારોબારી સમિતિ નીમવી અને તેણે બીજે વરસે બીજી પરિષદ ભરાય ત્યાં સુધી કામ કરતા રહેવું. આ પ્રથા પણ નવી જ હતી. અત્યાર સુધી તો પરિષદો અને કૉંગ્રેસો પણ વાર્ષિક જલસા જેવી થતી. ભરાય ત્યારે તેમાં ઉત્સાહ આવે પણ પછી આખું વરસ ભાગ્યે જ કાંઈ કરવાનું હોય. કૉંગ્રેસના પ્રમુખ પોતાની કારોબારી સમિતિ રચે અને તે સતત કામ કર્યા કરે એવો જે શિરસ્તો આગળ ઉપર પાડવામાં આવ્યો હતો તેનું બીજ ગોધરામાં નાખવામાં આવેલું. પરિષદના પ્રમુખ તરીકે સ્વાભાવિક રીતે જ ગાંધીજી આ કારોબારી સમિતિના પ્રમુખ થયા અને સરદારને તેના મંત્રી નીમવામાં આવ્યા. એમની સાથે જોડિયા મંત્રી તરીકે ઘણે ભાગે શ્રી ઈન્દુલાલ નિમાયા હતા. તેના કામકાજનું મથક અમદાવાદમાં રાખવાનું નક્કી થયું.

અગાઉ હું વેઠવારાની પ્રથાનો ઉલ્લેખ કરી ગયો છું. એ બાબત પરિષદમાં ઠરાવ કરવામાં આવ્યો અને પરિષદની કારોબારી સમિતિએ એ પ્રશ્ન હાથ ધરી એ અન્યાયી અને ત્રાસદાયક પ્રથા નાબૂદ કરાવવા પ્રયત્ન કરવો એમ નક્કી થયું. પણ પ્રજાને કાંઈ પણ સલાહ આપતાં પહેલાં સરકારને એ બાબતમાં શું કહેવાનું છે એ જાણી લેવા મંત્રીએ પ્રાંતના રેવન્યુ ખાતાના વડા તરીકે ઉત્તર વિભાગના કમિશનર મિ. પ્રૅટને કાગળ લખવો એમ ગાંધીજીએ સલાહ આપી અને કાગળનો મુસદ્દો પણ એમણે જ ઘડી આપ્યો. એ કાગળની મતલબ એ હતી કે, આ પ્રથાને કાયદાનો કશો આધાર હોય એમ જણાતું નથી અને અમને એ ગેરકાયદે લાગે છે. પણ એ પ્રથા ઘણાં વર્ષોથી ચાલતી જોવામાં આવે છે તેથી એ બાબતમાં સરકારનો કોઇ વહીવટી હુકમ હોય કે ઠરાવ હોય અને એને લીધે તેનું કાયદેસરપણું માનવામાં આવતું હોય તો તે અમને જણાવો. અમને એવા ઠરાવ કે હુકમની કશી માહિતી નથી. પણ ગુજરાતના બધા જિલ્લાઓમાં એ પ્રથા ચાલે છે અને રેવન્યુ ખાતાવાળા એનો વધુમાં વધુ લાભ લે છે. આ સવાલ સઘળા જિલ્લાઓને લગતો હોઈ અમે કલેક્ટર પાસે ન જતાં સીધા તમને લખીએ છીએ. આ પ્રથા ગેરકાયદે હોવાની અમારી માન્યતા ભૂલભરેલી હોય તો અમને જણાવશો. કારણ જે વસ્તુ કાયદાવિરુદ્ધ ચાલી રહી છે તે બાબત પ્રજાને ચેતવણી આપી કાયદાનું ઉલ્લંઘન થતું અટકાવવાનો અને વેઠવારાની પ્રથા નાબૂદ કરાવવાનો પરિષદે ઠરાવ કર્યો છે. કાગળની સાથે પરિષદના ઠરાવની નકલ મોકલી તથા પ્રથાની વિરુદ્ધ કાયદાના આધારો ટાંક્યા.

કમિશનર મિ. પ્રૅટનો વાચકને થોડો પરિચય થઈ ગયો છે. તેમના જેવા હુકમશાહી અમલદાર માટે આવો કાગળ આ પહેલવહેલો જ હતો. કાગળ વાંચતાં