પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫
ગુજરાત સભા

 ૧૯૧૭ના ચોમાસામાં અતિવૃષ્ટિને લીધે ખેડા જિલ્લામાં પાક નિષ્ફળ ગયો હતો. તે કારણે મહેસૂલ લેવાનું મોકૂફ રાખવાની ચળવળ ગુજરાત સભાએ ઉપાડી હતી. તેને અંગે સત્યાગ્રહની લડત ગાંધીજીની સરદારી નીચે ઉપાડવામાં આવી. સરદાર પૂરેપૂરા રંગાયા તે એ લડતમાં. તેની બધી વિગતો અલગ પ્રકરણ માગી લે છે.

પહેલી રાજકીય પરિષદ ગોધરામાં થઈ ત્યાર પછી ૧૯૨૩ની સાલ સુધી જુદે જુદે સ્થળે પરિષદો ભરવાનું ચાલુ રહ્યું. કઈ સાલમાં કયે સ્થળે કોના પ્રમુખપદા નીચે પરિષદ ભરાઈ તેની યાદી અહીં જ આપી દેવી ઠીક છે;

સાલ
સ્થળ
પ્રમુખ
૧.  ૧૯૧૭ ગોધરા ગાંધીજી
૨.  ૧૯૧૮ નડિયાદ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ
૩.  ૧૯૧૯ સુરત શ્રી ગોકુળદાસ કહાનદાસ પારેખ
૪.  ૧૯૨૦ અમદાવાદ શ્રી અબ્બાસસાહેબ તૈયબજી
૫.  ૧૯૨૧ ભરુચ સરદાર વલ્લભભાઈ પટેલ
૬.  ૧૯૨૨ આણંદ શ્રીમતી કસ્તૂરબા ગાંધી
૭.  ૧૯૨૩ બોરસદ શ્રી કાકાસાહેબ કાલેલકર

૧૯૨૦ના નાગપુરના અધિવેશનમાં કૉંગ્રેસનું ધ્યેય સ્પષ્ટ કરવામાં આવ્યું તથા તેનું બંધારણ નવેસરથી ઘડવામાં આવ્યું. તે પ્રમાણે દરેક પ્રાંતમાં ધ્યેયને સ્વીકારનારા એવા રીતસર નોંધાયેલા સભ્યો મારફત ચૂંટાયેલી પ્રાન્તિક સમિતિઓની રચના થઈ એટલે ગુજરાત સુભાનું સ્થાન ગુજરાત પ્રાંતિક સમિતિએ લીધું. સરદાર તેના પ્રમુખ ચૂંટાયા અને મંત્રી તરીકે શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક તથા દાદાસાહેબ માવળંકર ચૂંટાયા. ગુજરાત પ્રાન્તિક સમિતિએ પોતાની પ્રવૃત્તિ કેવળ રાજદ્વારી કામો પૂરતી મર્યાદિત કે સંકુચિત રાખી નહોતી પણ ગાંધીજીની પ્રેરણા નીચે ગુજરાતના સમગ્ર જાહેરજીવનમાં દોરવણી આપવાનું કામ તે કરતી. સુલતાની આફતોનો સામનો તેણે હમેશાં કર્યો જ છે તે ઉપરાંત જ્યારે જ્યારે આસમાની આફત આવી પડી છે ત્યારે ત્યારે એના સંકટનિવારણનું કામ તેણે ઉપાડી લીધું છે અને યશસ્વી રીતે પાર પાડ્યું છે.