પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
સરદાર વલ્લભભાઈ


“ ‘સુપરિન્ટેન્ડેન્ટને એ નિયમોની ખબર નથી. અને જેલમેન્યુઅલ મને જોવા આપતા નથી.’
“ ‘તમને કોની સાથે રાખ્યા છે ? ક્યાં રાખ્યા છે ?’
“ ‘ગુનો કરવાની આદતવાળા યુવાનોનો વૉર્ડ કહેવાય છે તેમાં. જોકે ત્યાં કોઈ યુવાનો તો નથી જ. પહેલે દિવસે તો આપણા જલાલપુરવાળા બિરાદરો જેઓ દારૂના પીઠાની ચોકી કરતાં વર્ષ વર્ષની સજા મેળવીને આવ્યા છે તેઓ મારી સાથે હતા. પણ તેમને તુરત ખસેડવામાં આવ્યા.’
સરદારે આગળ ચલાવ્યું : “ ‘અમારી ખોલી સાંજે સાડા પાંચ વાગ્યે બંધ થાય છે અને સવારે સાત વાગ્યે ખૂલે છે. કાલે રવિવાર હતો એટલે બપોરે સાડા ત્રણ વાગ્યાના પૂર્યા.’
“ ‘સૂવાને માટે શું ?’
“ ‘એક ખાસ્સો કામળો આપ્યો છે ને ! તે ઉપર આળોટીએ છીએ. મને પહેલે દિવસે લાગેલું કે ઊંઘ નહીં આવે, પણ બીજે દિવસે તો ઘસઘસાટ ઊંઘ આવી. તે એવી આવી કે બહાર કદી આવી નથી. આ ઉનાળાના દિવસમાં બહાર સુવરાવતા હોય તો કેવું સારું !’
“ ‘ખોરાકનું કેમ ?’
“ ‘ખોરાકનું તો શું પૂછવું ? જેલમાં કાંઈ મોજ કરવા થોડા આવ્યા છીએ ? બપોરે કંઈક જાડા રોટલા ને દાળ, અને સાંજે રોટલા અને શાક એમ આપે છે. ઘોડાને ખપે એવું તો હોય છે જ.’
“ ‘પણ માણસને ખપે એવું હોય છે કે નહીં ?’
“ ‘શા સારુ નહીં ? પાયખાને જવાનું ઠેકાણું નહોતું તે અહીં એક વાર નિયમિત પાયખાને જાઉં છું. પછી શું જોઈએ? પણ એની તું ચિંતા શા સારુ કરે છે ? ત્રણ મહિના હવા ભરખીને રહી શકું એમ છું.’ એમ કહીને ખડખડાટ હસી જેલનો દરવાજો ગજાવી મૂક્યો.
“પછી સરદારે કહ્યું : ‘સવારે જુવારના લોટની નમક નાખેલી કાંજી મળે છે. પણ એ નથી લેતો. કારણ મરડો થવાનો ડર રહે છે.’
“ ‘રોટલા દાંતે ચવાય છે શી રીતે’ એના જવાબમાં એમણે કહ્યું : ‘રોટલા તો પાણીમાં ભાંગી નાખું છું, અને મજાથી એક રોટલો ખાઈ જાઉં છું.’
“ ‘બત્તી મળે છે ?’
“ ‘બત્તી ન મળે. બત્તી આપતા હોય તો રાત્રે વાંચું પણ ખરો. અહીં તો સાંજ પડી એટલે અંધારું.’
“ ‘કશું વાંચવાનું જોઈએ છે ?’
“ ‘ગીતા અને તુલસીરામાયણ આપ્યાં છે. ‘આશ્રમભજનાવલિ’ મોકલજે. એટલી ત્રણ વસ્તુ ત્રણ મહિનામાં વાંચી લઈશ તો બહુ છે.’
“મેં કહ્યું: ‘ગીતાજી તો હવે બાપુની બહાર પડવાની છે.*[૧] જે દિવસે
  1. *‘અનાસક્તિયોગ’. એમાં ગાંધીજીએ ગીતાના અનુવાદ ઉપરાંત વિશિષ્ટ શ્લોકો ઉપર પોતાની નોંધો પણ લખી છે. નવજીવન, પ્રકાશન મંદિર, અમદાવાદ. કિં. રૂ. ૦–૧૦–૦, ટપાલરવાનગી ૦–ર–૦.