પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૨

વિદ્યાપીઠ પુસ્તકાલય પ્રકરણ

ગાંધીજીએ સને ૧૯૩૩ના જુલાઈની ૩૧મીએ સાબરમતી આશ્રમ વિખેરી નાખ્યો એ કહેવાઈ ગયું છે. તે વખતે આશ્રમનું પુસ્તકાલય રખડી ન જાય અને તેનો સદુપયોગ થાય તે માટે એ તેમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીને સોંપી દીધું. પુસ્તકાલય સોંપી દેવાનો વિચાર ચાલતો હતો તે વખતે શ્રી કાકાસાહેબ કાલેલકર પૂનામાં હતા. ગાંધીજીએ પહેલાં આશ્રમનું પુસ્તકાલય વિદ્યાપીઠના પુસ્તકાલય સાથે ભેળવી દેવાની વાત કાકાસાહેબને કરેલી. પણ એનો અમલ લડત આવી તેને લીધે થઈ શકે નહીં. એટલે આ વાત સાંભળી પેલા સંકલ્પનું સ્મરણ કરાવવાના ઉદ્દેશથી ગાંધીજીને કાગળ લખી તેઓ અમદાવાદ આવવા પૂનાથી નીકળ્યા. કેવા સંજોગોમાં વિદ્યાપીઠનું પુસ્તકાલય તેમણે મ્યુનિસિપાલિટીને સોંપ્યું એની વિગતોનું વર્ણન કરતો એક કાગળ શ્રી કાકાસાહેબે ગાંધીજીને તા. ૩૦–૭–’૩૪ના રોજ લખેલો. તેમાં ગાંધીજી સાથે તેમને તે વખતે થયેલી વાતોનો અહેવાલ તેમણે આપ્યો છે. તેમાંથી મુદ્દાનો ભાગ નીચે આપ્યો છે :

“આપે જ શરૂઆત કરી કે વિદ્યાપીઠનું પુસ્તકાલય પણ આપણે મ્યુનિસિપાલિટીને સોંપી દઈએ તો કેવું ? મેં કહ્યુંં અહીં આવતાં રસ્તામાં મેં પણ એ જ વિચાર કર્યો હતો. આપે આશ્રમની લાઇબ્રેરી વિદ્યાપીઠને આપી હોવા છતાં મ્યુનિસિપાલિટીને સોંપી એટલે બને લાઇબ્રેરીઓ મ્યુનિસિપાલિટીને અપાય એમ જ આપ ઇચ્છતા હશો, નહીં તો આપને હાથે આવું પગલું ન જ ભરાત, એ વિચારશ્રેણીએ મેં પણ નક્કી કર્યું કે વિદ્યાપીઠની લાઇબ્રેરી કાઢી નાખીએ એમાં જ શ્રેય છે. દસ વરસ સુધી અથવા એથીયે વધારે વખત બધાએ જેલમાં રહેવાનું છે. તો ચોપડીઓ સરકારના તાબામાં સડતી શા માટે રાખીએ ? દસ વરસને અંતે પરિસ્થિતિ બદલાઈ હશે તે વખતે બધો જ વિચાર જુદી રીતે કરવાનો હશે. વિદ્યાપીઠની પ્રવૃત્તિનો હમણાં જ એક સ્વાભાવિક અંત આવે છે તો એ લાઇબ્રેરીને ઉપયોગ લોકો કરતા થાય એ જ સારું છે.
“પણ મેં ઉમેર્યું કે એ પુસ્તકાલય અને આશ્રમનું પુસ્તકાલય પણ મ્યુનિસિપાલિટીને આપવા વિષે મારો મતભેદ છે. … સરકાર ગમે ત્યારે મ્યુનિ∘ને સસ્પેન્ડ કરી પુસ્તકાલય પોતાના તાબામાં લઈ શકે છે. એટલે એ સરકારને આપ્યા બરાબર છે. આપે કહ્યં: એટલો દોષ એમાં રહે છે એ સાચી વાત છે. પણ મ્યુનિસિપાલિટી વલ્લભભાઈની છે. આપણે પ્રજાની સેવા કરતા હોઈશું તો મ્યુનિસિપાલિટીનો કબજો આપણો જ રહેવાનો છે. વલ્લભભાઈનો સ્વભાવ હું જાણું છું. વલ્લભભાઈને આ વસ્તુ ગમશે. …”