પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


૧૫
જેલમાંથી છૂટ્યા પછીનું દોઢ વર્ષ

સરદાર ૧૯૩૪ના જુલાઈની ૧૪મી તારીખે નાશિક જેલમાંથી છૂટ્યા. જેલમાં તેઓ લડતમાં પડેલા ખેડૂતોની અહર્નિશ ચિંતા કરતા હતા તે આપણે જોઈ ગયા છીએ. છૂટીને થોડા દિવસ મુંબઈમાં આરામ લઈ ગાંધીજી તે વખતે કાશીમાં હતા ત્યાં તેમને મળવા જવું હતું. કાશી જવા ઊપડતા પહેલાં ગુજરાતના પોતાના સાથીઓ જોગ નીચેનો સંદેશો તા. ૨૫–૭–’૩૪ના રોજ તેમણે છાપાં મારફત મોકલ્યો :

“વહાલા સાથીઓ,
“હું જાણું છું કે તમે સૌ મારી રાહ જોઈ રહ્યા છો. હું પણ તમને ભેટવાને એટલો જ અધીરો થઈ રહ્યો છું. પણ સંજોગોને વશ થઈ હજુ થોડા દિવસ સુધી ગુજરાતમાં પ્રવેશ નહીં કરી શકું એમ લાગે છે, તેટલો સમય મને જેલમાં રહેલો સમજી નભાવી લેજો.
“આપણા સવાસો જેટલા સાથીઓ હજીયે જેલોમાં પડી રહેલા છે. કેટલીયે સંસ્થાઓ ઉપરથી પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યા નથી. ગૂજરાત વિદ્યાપીઠ, પાટીદાર વિદ્યાથીગૃહ, અનાવિલ વિદ્યાથીગૃહ, સુણાવ રાષ્ટ્રીય શાળા, બોચાસણ વિદ્યાલચ વગેરે કેળવણીની સંસ્થાઓનાં મકાનો હજી સરકારના કબજામાં જ પડેલાં છે. બારડોલી, મઢી, સરભોણ, વેડછી, સુરત વગેરે આશ્રમનાં મકાનો હજી આપણને પાછાં મળ્યાં નથી. કેટલાક ખેડૂતોના દંડ વસૂલ કરવા બદલ હજુ તેમનાં ઘરબાર હરાજ થઈ રહ્યાં છે. કેટલાકની ખાલસા થયેલી જમીનો હજી હરાજ થઈ રહી છે. સમિતિઓ સજીવન કરવાનું નિર્દોષ કાર્ય પણ હજી શંકાની નજરે જોવાય છે. કૉંગ્રેસના સભાસદ થનારનાં નામ-ઠામની તપાસ કરવામાં આવે છે.
“આમ ગુજરાતમાં હજીયે જાણે એકતરફી લડાઈ ચાલી રહી હોય એવો ભાસ થાય છે. એટલે તમારે મહા મુશ્કેલીઓ વચ્ચે કામ કરવાનું છે, છતાં એ બધી મુશ્કેલીઓને પહોંચી વળવામાં જ આપણી ખરી કસોટી થવાની છે. ઉતાવળા કે અધીરા ન થશો. અકળાયા કે મૂંઝાયા વિના, પોલીસની સાથે અથડામણમાં આવ્યા સિવાય જેટલું થઈ શકે તેટલું ધીરજથી કરો. આપણે કશું છુપું કામ તો કરવાનું જ નથી. જાહેર રીતે કેવળ રચનાત્મક કાર્ય કરતાં પણ જ્યાં અંતરાય આવે ત્યાંથી હઠી જઈ ખરી વસ્તુસ્થિતિની ખબર જિલ્લાના કે પ્રાંતના કાર્યકર્તાને આપજો અને એની સલાહ મુજબ વર્તજો. વસમા સંજોગોમાં પણ પ્રતિકાર કરવાની લાલચમાં ન પડશો. એમ કરતાં સામેનાનો ડંખ નીકળી જશે
૧૮૬