પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૯
જેલમાંથી છૂટ્યા પછીનું દોઢ વર્ષ
કરી તેમનાં દિલ ફેરવવાં રહ્યાં. આપણે આપણી એકતાનો પુરાવા આપણા કામથી આપવો રહ્યો.
“જે કરો તે પ્રેમથી અને સૌના દિલ જીતીને કરજો. એકમતે થાય તે જ કરો, નહીં તો શરૂઆતથી જ ખરાબ દેખાવ થશે.
“આપણે કઠણ વખતમાંથી પસાર થઈએ છીએ. હજી વધારે કઠણ વખત આવવાનો છે. જેટલા રહ્યા તેટલાએ એકબીજાનાં દિલની સફાઈ કરી વધારે નજીક આવવાનો પ્રયત્ન કરવો. સુરતવાળા બધા ઇચ્છે છે કે મારું જ નામ આગળ રાખવું અને તમે ઉપપ્રમુખ રહો. મોરારજીને ભય છે કે ઉપપ્રમુખ થવા તમે કબૂલ નહીં થાઓ. મેં બલુભાઈને વાત કરી છે. એમને મળજો. એમની પાસેથી બધું સમજી લેજો અને એ પ્રમાણે હમણાં ચાલવા દેજો. હકીકતમાં તો તમે જ પ્રમુખ છો એમ બનવાનું છે. આપણે નામનું કામ નથી, કામનું કામ છે. નામનું પાછળથી જોઈ લેવાશે. સૌની જોડે મીઠાશથી કામ લેજો. મેં જોયું છે કે સૌનાં દિલ સાફ છે, સૌને આપણા બેઉ પ્રત્યે ભાવ છે. આપણામાં ત્રુટીઓ છે. મારામાં ઊણપ હોય તે તમારામાં ન હોય, તમારામાં હોય તે મારામાં ન હોય. એ બધુ છતાં આપણે એકબીજાને અને બધાને ઓળખતા થઈ ગયા છીએ, એટલે આપણું કામ સહેલું થઈ જશે. મેં જોયું છે કે સૌનાં દિલ સાફ છે, કોઈને અંગત સ્વાર્થ કે દ્વેષ જેવું કશું નથી. એટલે આપણું ભાવી ઉજ્જવળ છે. અન્ય પ્રાંત જેવા કજિયાકલેશ આપણે ત્યાં નથી. પ્રભુ ન થવા દે, મને ત્યાં (ગુજરાતમાં) આવતાં વખત લાગશે. સાંધા બધા દુખે છે. નબળાઈ ખૂબ છે. અને હમણાં તો ઑલ ઇન્ડિયાનું કામ ખૂબ વધી પડ્યું છે.
“ખેડૂતોનું તો ઈશ્વર કરશે તો સૌ ઠીક થઈ રહેશે. મારું અને તમારું કામ અત્યારે ખેડૂતોની રાહતમાં અને તેમના દુખમાં ભાગ લેવાનું છે. ”

ઉપરના કાગળમાં સરદારે જે આશાઓ સેવેલી દેખાય છે તેમાં ’૩પનું આખું વરસ કંઈક ને કંઈક અંતરાય પડતા રહ્યા. ડૉ. ચંદુભાઈ, દરબારસાહેબ તથા શ્રી મોરારજીભાઈને ઓછાવત્તા પ્રમાણમાં જુદાં જુદાં કારણોસર અસંતોષ રહ્યો. તે દૂર કરવા સરદારે ખૂબ પ્રયત્નો કર્યા. છેવટે તેમને એમ લાગ્યું કે પોતે સમિતિના પ્રમુખપદેથી નીકળી જવું એ જ કદાચ ગુજરાતને માટે શ્રેયસ્કર હોય. તા. ૯–૧–’૩૫ના રોજ દરબારસાહેબને લખે છે

“તમને દુઃખ થાય છે તેથી તમારા કરતાં મને વિશેષ દરદ થાય છે. તમારા કામમાં મદદગાર થવાને બદલે હું વિઘ્નરૂપ થઈ પડ્યો તેનું મને બહુ દુઃખ છે. આ વખતે ત્યાં મારું આવવું તમને સુખરૂપ થવાને બદલે દુઃખરૂપ થયું એનું મને બહુ જ દુઃખ છે. તમારી મૂંઝવણમાં હું ઉમેરો કરી ગયા તેથી મને દિલગીરી થાય છે. … તમારો રોષ મારી સામે છે અથવા તો તમને એમ લાગે છે કે હું તમને અન્યાય કરી રહ્યો છું. ઇરાદાપૂર્વક અન્યાય કરું છું એમ તો નહીં જ માનો. મારામાં એટલી ખામી હોવી જ જોઈએ કે હું તમારા મનનું સમાધાન ન કરી શક્યો. દુઃખ ન માનશો. શુદ્ધ દાનત વહેમ કે અવિશ્વાસને ભુલાવશે.”