પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૫
ગુજરાતનો હરિજનફાળો, લખનૌ કૉંગ્રેસ
જમીનદારો પોતાનાં જીવન બદલીને કરોડો ભૂખે મરતા ઝુંપડાવાસીઓની વચ્ચે રહીને ભોગવૈભવને પાપ સમજશે અને આપણી સેવા કરવા તત્પર થશે, એ સંભવિત છે. આજે પણ જમીનદારને કિસાનોના સ્વાભાવિક પ્રતિનિધિ થવાની સલાહ આપનારી સરકાર (યુક્ત પ્રાંતના તે વખતના લેફ્ટનન્ટ ગવર્નર સર હેરી હેગે, જમીનદારોને સલાહ આપી હતી કે જમીનદાર કિસાનોનો સ્વાભાવિક પ્રતિનિધિ છે અને તેણે પોતાનું એ ગુમાવેલું સ્થાન ફરીથી મેળવી લેવું જોઈએ) પોતાની ચાલ બદલી નાખે અને કરોડોના અંદાજપત્રમાં કિસાનોનો ભૂખમરો ટાળવાનાં, તેમની કેળવણીનાં, તથા આરોગ્ય માટેનાં જરૂરી સાધનોનો સમાવેશ કરવા લાગી જાય અને પ્રજામતને માન આપવાની નીતિ સમજતી થઈ જાય તો એ જ જમીનદાર સમજી જશે કે કિસાનોનાં સુખદુઃખનો ખ્યાલ રાખવો તથા તેમની સેવા કરવી એ પોતાની પ્રથમ ફરજ છે. પણ આ બાબતમાં મારો મત સાબિત કરવા હું અહીં નથી આવ્યો. આ અગત્યના સવાલ અંગે આ પ્રાંતના સાચા આગેવાન પંડિત જવાહરલાલજીની સલાહ જ સાચી માર્ગદર્શક નીવડશે. હું તો તેમની ગેરહાજરીમાં તેમનો પ્રતિનિધિ બની તેમના પાછા આવતા સુધી મારી અલ્પ શક્તિ પ્રમાણે તમને તમારું કર્તવ્ય સમજાવી શકું તો મારી ફરજ પૂરી થઈ સમજીશ. છેવટે તો પંડિતજીના અનુભવોનો નિચોડ જ તમારે માટે શિરોધાર્ય હોવો જોઈએ. એમણે તમારે માટે જે સ્વાર્થત્યાગ કર્યો છે, જે દુખ વેઠ્યાં છે અને જે જહેમત ઉઠાવી છે એટલું કોઈએ નથી કર્યું. એમની સત્યનિષ્ઠા અને ગરીબો માટે એમના દિલમાં જલતી આગ વિષે દુશ્મનને પણ શક નથી.”

પછી ગઈ લડત વખતે આ કિસાનોએ કેટલી બહાદુરી બતાવી હતી, કેટલો ભોગ આપ્યો હતો અને કેટલી ખુવારી વેઠી હતી તેનું વર્ણન કર્યું :

“ગાંધી-અર્વિન કરારના અરસામાં અને તે પછીનાં એકબે વરસોમાં આપણા પર જે આફતો ઊતરી તેનું વિસ્તારથી વર્ણન કરવાની અહીં કશી જરૂર નથી. પણ બીજા પ્રાન્તોની માફક આ પ્રાન્તમાં પણ એ કરારનો અમલદારોએ ચોખ્ખો ભંગ કર્યો હોવા છતાં, પંડિત જવાહરલાલજી તથા આ પ્રાન્તના મુખ્ય કાર્યકર્તાઓને માથે દોષ ઓઢાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે એ પગલાંનો જાહે૨ બચાવ કરવાને હું મારો ધર્મ સમજું છું. મારો દૃઢ અભિપ્રાય છે કે એ વખતે પંડિત જવાહરલાલજી, પંડિત ટંડનજી તથા આ પ્રાન્તના બીજા કૉંગ્રેસ કાર્યકર્તાઓએ તમને ગણોત ન ભરવાની સલાહ આપી ન હોત તો તેઓ પોતાની ફરજ ચૂક્યા ગણાત. તે વખતે હું કૉંગ્રેસનો પ્રમુખ હતો. મને જરા પણ શંકા હોત તો હું આ પગલાંને કદી મંજૂરી ન આપત. એ પ્રસંગે અહીંની કૉંગ્રેસ કમિટી તમારે પડખે ઊભી, તમારાં દુઃખોમાં ભાગીદાર બની અને પૂરી તાકાતથી તમારી તથા પ્રાંતની અમૂલ્ય સેવા બજાવી. આ પછી તમારી અને કૉંગ્રેસની બરબાદી કરવા સરકારે જે કંઈ કર્યું તેની વિગતમાં ઉતરવાની જરૂર જોતો નથી. તેમાંથી સરકારને અને આપણને સારો અનુભવ મળ્યો. આ પછી ગણોતમાં જે કંઈ છૂટછાટ મળી તેનો જશ જે લોકોએ પોતાની માલમિલકત ગુમાવીને અનેક મુસીબતો સહન કરી છે તેમને જ આપવો જોઈએ. તેમનો