પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૫
નરીમાન પ્રકરણ — ૨
વચનભંગ કર્યો છે એ વિષે એક ટૂંકો કાગળ બહાર પાડવાનું કહ્યું છે એ હું બહાર પાડીશ.”

પણ સરદારે તો શ્રી ભૂલાભાઈને કે શ્રી મોતીલાલ સેતલવડને લખ્યું જ નહીંં. શ્રી નરીમાન છાપાંમાં ગમેતેમ લખ્યાં કરે એની એમને પરવા નહોતી. એમને તો ગાંધીજીના અને બહાદુરજીના ફેંસલાથી પૂરેપૂરો સંતોષ હતો. શ્રી ભૂલાભાઈએ લાલા લજપતરાયની પુણ્યતિથિને દિવસે ભાષણ આપતાં આ પ્રકરણનો ઉલ્લેખ કરી કહ્યું કે પોતે પસંદ કરેલા પંચના ફેંસલા ઉપર વળી અપીલ તે શી હોય ? એ ફેંસલાની ફરી તપાસ થવી જોઈએ એવું મેં જ્યારે છાપામાં વાંચ્યું ત્યારે આશ્ચર્ય થયું. આબરૂદાર માણસના વચન જેવી ચીજ જીવનમાં હોવી જ જોઈએ. આપણે પંચને જાતે જ પસંદ કરીએ તો પછી એ પંચ જે ચુકાદો આપે તે આપણને ગમતો હોય કે ન ગમતો હોય તો પણ સ્વીકારી લેવો જોઈએ. શ્રી નરીમાને તો શ્રી ભૂલાભાઈના આ ભાષણનો પણ તા. ૧૯મી નવેમ્બરે લાંબો જવાબ આપ્યો અને ત્યાર પછી પણ જ્યારે જ્યારે સહેજ પણ તક મળી ત્યારે ત્યારે આ ચર્ચા છાપાંઓમાં જાગતી જ રાખી. હું કૉલેજમાં ભણતો ત્યારે અમારા પ્રિન્સિપાલ એક સ્કૉચ ડોશીની અમને વાત કરતા. તે કહેતી કે હું કોઈની પણ વાત માનવા તૈયાર છું પણ મને મનાવી શકે એવો માણસ હોય તો મારી પાસે લાવો. (I am prepared to be convinced, but show me the man who can convince me.) તેમ શ્રી. નરીમાન પણ પંચનો ફેંસલો કબૂલ રાખવા તૈયાર હતા પણ એ ફેંસલો ન્યાયી હોય તો ને ?

કૉંગ્રેસ કારોબારીનો ઠરાવ સને ૧૯૩૭ની આખરમાં થયો. ત્યાર પછી બરાબર દસ વર્ષ એટલે ૧૯૪૭ની આખરમાં પોતાના વર્તન માટે સરદાર સમક્ષ શ્રી નરીમાને દિલગીરી દર્શાવી અને તેઓ ફરી કૉંગ્રેસમાં દાખલ થયા. તે વખતે મુંબઈ કૉર્પોરેશનની ચૂંટણી થવાની હતી તેમાં કૉંગ્રેસપક્ષ તરફથી તેઓ ઊભા રહ્યા, ચૂંટાયા અને પાછળથી પક્ષના નેતા પણ બન્યા. પરંતુ તેઓ ઝાઝો વખત કામ કરી શક્યા નહીં. તેઓ એક કેસને અંગે દિલ્હી ગયા હતા. એક હોટેલમાં ઊતર્યા હતા ત્યાં તા. ૪–૧૦–’૪૮ના રોજ રાતના એકાએક હૃદય બંધ પડવાથી તેમનું અવસાન થયું. હોટેલવાળાએ સરદારને ખબર આપી એટલે તેમણે એક પારસી અમલદારને હોટેલમાં મોકલ્યા અને તેમના ભાઈ તથા પત્નીને ફોનથી ખબર આપી. બીજે દિવસે સવારે તેમના ભાઈ તથા પત્નીની ઈચ્છાનુસાર તેમના મૃતદેહને ખાસ વિમાનમાં મુંબઈ મોકલી આપવાની વ્યવસ્થા સરદારે કરી.