પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦૬
સરદાર વલ્લભભાઈ

છે, એવા આક્ષેપ કરવા માંડ્યા હતા. એ આક્ષેપોનો સા૨ કાઢીએ તો નીચે પ્રમાણે નીકળે છે :

૧. મુખ્ય પ્રધાન ધારાસભામાંના પોતાના પક્ષને જ જવાબદાર છે. એના કામમાં કૉંગ્રેસની પાર્લમેન્ટરી કમિટી અથવા તો કારોબારી સમિતિ દખલ કરે એ બંધારણ વિરુદ્ધ છે.
૨. મુખ્ય પ્રધાનને પોતાના સાથીઓ પસંદ કરવાનો પૂરેપૂરો હક છે.
૩. કૉંગ્રેસ કારોબારી સમિતિએ ડૉ. ખરેને ફરી નેતા ન ચુંટાવા દીધા એ બંધારણ વિરુદ્ધ કૃત્ય કર્યું છે.
૪. ગવર્નર આ પ્રસંગમાં બંધારણપૂર્વક વર્ત્યા છે, છતાં તેમના ઉપર કારોબારી સમિતિએ નાહકના આક્ષેપ કર્યા છે.
૫. આટલું બધું કરીને છેવટે કારોબારી સમિતિએ જે પ્રધાનો પસંદ કર્યા છે, તે અકુશળ અને સ્વાર્થી છે.
૬. કૉંગ્રેસ કારોબારીના આ કૃત્યમાં હડહડતું ‘ફાસીઝમ' છે.

આ ટીકાઓ ઉપરથી ગાંધીજીએ ‘હરિજન'માં કારોબારી સમિતિના કર્તવ્ય વિષે એક લેખ લખ્યો છે. તેમાંથી કેટલાક ઉતારા આપીશું. પહેલી ત્રણ ટીકાઓ જે બંધારણને લગતી છે, એના રદ્દિયા નીચેના ફકરામાંથી મળી રહે છે :

"આંતરિક વિકાસ અને વહીવટને માટે કૉંગ્રેસ એ જગતની કોઈ પણ સંસ્થાના જેટલી જ લેાકશાસનવાળી સંસ્થા છે. પણ આ લોકશાસનવાળી સંસ્થા જગતમાં આજે હસ્તી ધરાવતી મોટામાં મોટી સામ્રાજ્યશાહી સત્તાની સાથે લડવા માટે સ્થાપવામાં આવેલી છે. એટલે આ બાહ્ય કામને માટે તેની સરખામણી લશ્કરની સાથે જ કરવી રહે છે. લશ્કર તરીકે એ લોકશાસનવાળી સંસ્થા મટી જાય છે. તેણે પોતાની કારોબારી સમિતિને કુલ સત્તા આપી છે. પોતાના હાથ નીચે કામ કરી રહેલી વિવિધ સંસ્થાઓ ઉપર તે પોતાની શિસ્ત બેસાડી શકે છે, અને તેનો અમલ કરાવી શકે છે. કૉંગ્રેસની પ્રાંતિક સમિતિઓ અને પ્રાંતિક ધારાસભાઓમાંના કૉંગ્રેસ પક્ષો આ કારોબારી સમિતિને આધીન છે. કૉંગ્રેસે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ઍકટની રૂએ અધિકાર ગ્રહણ કર્યો છે ખરો, પણ એ કાયદો ઘડનારાઓની ધારણા પ્રમાણે તેનો અમલ કરવા સારુ અધિકાર ગ્રહણ કર્યો નથી. એ કાયદાની જગ્યાએ હિંદુસ્તાનના લોકોએ પોતે ઘડેલો સાચો બંધારણનો કાયદો સ્થાપવાનો દિવસ નજીક આવે એવી રીતે તેને અમલ કરવા માટે કૉંગ્રેસે અધિકાર હાથમાં લીધો છે. એટલે હોદ્દા સ્વીકાર્યા છતાં આપણી સ્વરાજની લડત ચાલુ જ છે. અને લડત ચલાવનાર તંત્ર તરીકે કૉંગ્રેસે પોતાની કારોબારી સમિતિના હાથમાં બધી સત્તા કેન્દ્રિત કરવી જ જોઈએ. પોતાના હાથ નીચેના દરેક ખાતાને કૉંગ્રેસે દોરવણી આપવાની છે. દરેક કૉંગ્રેસી પછી તે ગમે તેટલા ઊંચા સ્થાને બેઠેલો હોય તેની પાસેથી પોતાનાં ફરમાનોનું