પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪૮
સરદાર વલ્લભભાઈ

૪. કમિટી જે સુધારા સૂચવે તેને ઠાકોરસાહેબ, ભલે તે ઔપચારિક હેચ, પણ સંમતિ આપવી જોઈએ.

“અમારી મુલાકાત થઈ તે પહેલાં સર પેટ્રિક કૅંડલ સાથે સ્પષ્ટ સમજૂતી થઈ હતી કે, આ મુસદ્દો આખો ન સ્વીકારવામાં આવે તો અમારા મળવાનો કશો અર્થ નથી, તેમણે ઊભા કરેલા મુદ્દાઓની બાબતમાં તેમણે પોતે જ કહ્યું હતું કે એ વિષે જો મને સંતોષ નહીં થાય, તો તેઓ એ જતા કરવા તૈયાર હશે.

“ પણ જ્યારે અમે મળ્યા ત્યારે મેં જોયું કે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. આ ફેરફાર થવાનાં કારણો હું જાણતો નથી. અમારી મુલાકાતમાં સર પેટ્રિકે કહ્યું કે રાજાના વિશેષ અધિકારનો અર્થ નક્કી થવો જોઈએ. તેમણે એવું પણ સુચન કર્યું કે સમાધાનમાં જવાબદાર રાજ્યતંત્રની વાત ન આવવી જોઈએ, જ્યારે આખો મુસદ્દો જવાબદાર રાજ્ચતંત્ર ધ્યાનમાં રાખીને જ ઘડવામાં આવ્યો હતો. જોકે એ વસ્તુ કમિટી ઉપર છોડવામાં આવી હતી પરંતુ સર પેટ્રિક કૅંડલ તો કમિટીની સત્તા મર્યાદિત કરી નાખવા માગતા હતા. તેથી મારા કશા દોષ વિના અમારી મુલાકાત અધૂરી રહી. પરંતુ પાંચ કલાકની વાતો પછી સર પેટ્રિકે કહેલું કે આપણે મિત્રો તરીકે છૂટા પડીએ છીએ. પણ દરબાર તરફથી આ બીજું જાહેરનામું બહાર પડ્યું છે તેને હું મિત્રોનું કૃત્ય ગણતો નથી. હું તો રોજ આશા રાખતો હતો કે કંઈક સારા સમાચાર સાંભળવાના મળશે અને રાજ્યમાં ચાલતું દમન જે અનિવાર્ય નથી, તેનો અંત આવશે તથા રાજકોટમાં ઉજ્વળ ભવિષ્યનો ઉદય થશે. હું સર પેટ્રિકને ખાતરી આપવા માગું છું કે તેઓ પોતાની દમનનીતિથી લોકોના જુસ્સાને કચડી નાખી શકશે નહીં. છેવટે પ્રજાનો કક્કો જ ખરો થવાનો છે. તેઓ પ્રજાને ઓળખતા નથી. છેવટે તેઓ પરદેશી છે. પોતાની મર્યાદાઓ તેમણે સમજવી જોઈએ. ઠાકોરસાહેબ જેમને વિષે મને માનવાને કારણ છે કે તેઓ આ લડતનો અંત લાવવાને આતુર છે, તેમના પ્રજા સાથેના સંબંધો તેઓ કડવા ન બનાવે. પણ સર પેટ્રિક તો સનદી નોકરીના અમલદાર તરીકે પોતાને રાજભક્ત પ્રજાના પ્રતિનિધિ માને છે. અને એ રીતે ઠાકોરસાહેબની ઈચ્છાઓને વફાદારીથી અમલ કરવાને બંધાયેલા એક નોકર બનવાને બદલે ઠાકોરસાહેબનો અધિકાર પોતે જ પચાવી પાડે છે.”

આનો જવાબ સર પેટ્રિક કૅંડલે નીચે પ્રમાણે આપ્યો :

“ અમારી મુલાકાત તદ્દન ખાનગી રાખવામાં આવી હતી એટલે તેમાં થયેલી ચર્ચામાં હું ઊતરવા માગતો નથી. પરંતુ શ્રી વલ્લભભાઈ પટેલે એક નિવેદન બહાર પાડ્યું છે અને ઠાકોર સાહેબના જાહેરનામાને તેઓ વિશ્વાસભંગ કહે છે તેથી હકીકત રજૂ કરવાનું આવશ્યક થાય છે. મને પૂછ્યા વિના તેમ જ મારી જાણ બહાર પડોશના રાજ્યના એક દીવાન સમાધાન કરવાના મૈત્રીભર્યા ઇરાદાથી આ બાબતમાં વચ્ચે પડયા. તેઓ ઠાકોરસાહેબના કાગળ લઇને વર્ધા તથા અમદાવાદ ગયા. અને અમદાવાદથી સમાધાન માટે એક મુસદ્દો લઈ આવ્યા. આ મુસદો મને આપવામાં આવ્યો નહોતો પણ મેં તેના મજકુરની કાચી નોંધ પેનસિલથી કરી લીધી હતી. રાજકોટ દરબારને માન્ય ન થઈ શકે એવા કેટલાક મુદ્દાની મેંં નોંધ કરી. પછી શ્રી વલ્લભભાઈ પટેલને મળવાનું મને સૂચવવામાં