પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૦
સરદાર વલ્લભભાઈ

ઊપડ્યા. તા. ૯મીએ સવારે ગાંધીજી રાજકોટ પહોંચ્યા. સરદાર વિમાનમાં અગિયાર વાગ્યે પહોંચ્યા.

પણ રાજકોટમાં ગાંધીજીના માર્ગમાં સારી પેઠે કાંટા વેરી રાખવામાં આવ્યા હતા. દિલ્હીમાં વડા ન્યાયાધીશ આગળ કેસની દલીલો ચાલતી હતી ત્યારે રાજ્ય તરફનો પ્રજા ઉપરનો સિતમ ચાલુ જ હતો. જપ્તીમાં લેવાયેલો માલ કે દંડ કોઈના પણ પાછી આપવામાં આવ્યા નહોતા. એજન્સીની હદમાં રહેતા જે વકીલોએ લડતમાં ભાગ લીધો હતો અને એ કારણે જેમની સનંદો લઈ લેવામાં આવી હતી તેમને હજી સનંદો પાછી આપવામાં આવી નહોતી. વધારે ભયંકર તો એ હતું કે મુસલમાનો અને ભાયાતોને પ્રજાપરિષદની સામે ઉશ્કેરી મૂકવામાં આવ્યા હતા. ગાંધીજીએ રાજકોટમાં પગ મૂક્યો ત્યારથી જ એ લોકો એમને વળગ્યા હતા કે કમિટીમાં અમારું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. દલિત વર્ગ પણ પોતાના પ્રતિનિધિ હોવાની માગણી કરવા લાગ્યો હતો અને તે માટે ડૉ. આંબેડકર એક વાર રાજકોટ આંટો મારી ગયા હતા. ઠાકોરસાહેબ એટલે દરબાર વીરાવાળા, આ લોકોની માગણી વાજબી છે અને રાજ્યે તો પ્રજાના તમામ વર્ગોની માગણી ધ્યાનમાં લેવી જોઈએ એમ કહેતા હતા. ઠાકોરસાહેબના જાહેરનામા પ્રમાણે કમિટી ઉપર સરદારનાં નામોની એટલે કે પ્રજાપરિષદનાં નામોની ચારની બહુમતી રહેતી હતી તેને બદલે ફક્ત એકની બહુમતી રહે ત્યાં સુધી ગાંધીજી આ લોકોને રીઝવવા તૈયાર હતા. આ બધી વાટાઘાટો તા. ૯મીથી ૧૪મી સુધી ચાલી. પણ ગાંધીજી પેલા લોકોને મનાવી શક્યા નહીં.

એ બધી વાટાઘાટોનો સાર ગાંધીજીએ સાત સભ્યોનાં નામો મોકલી આપતો કાગળ તા. ૧૪–૪–’૩૯ના રોજ ઠાકોરસાહેબને લખ્યો તેમાં આવી જાય છે.

“મે. ઠાકોરસાહેબ,
“આપના તા. ૧૦-૪-’૩૯ના અંગ્રેજી પત્રનો જવાબ આજે આપી શકું છું.
“આપે આપની જવાબદારી માથેથી ઉતારી નાખી એનું મને દુઃખ છે. જે મુસલમાન અને ભાયાતનાં નામો વિષે આપ લખો છો એ નિમણૂક આપની હતી. વડા ન્યાયાધીશનો નિર્ણય આપના અર્થની વિરુદ્ધ જાય તોપણ આપનું વચન કાયમ રહી શકે એમ કરવામાં મારે મદદ કરવી એ જ એક અર્થ મારા વચનનો હતો અને હોઈ શકે. જે આપવાનો મને અધિકાર જ ન હોય તે આપવાનું મેં વચન આપ્યું છે, એવો અર્થ મારા વચનમાંથી કેમ નીકળે એ મારી સમજની બહાર છે. હું તો પરિષદ અને સરદારના ટ્રસ્ટી તરીકે કામ કરું છું. એ ટ્રસ્ટની બહાર જઈ મારાથી કંઈ ન અપાય એ દેખીતું છે એટલે મારા વચનનો આટલો જ અર્થ હતો અને હોઈ શકે કે આપ એ ભાઈઓનાં