પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૧
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨



નામ રાખવા ઇચ્છો તો સરદારનાં નામ બહુમતીમાં હોય એ શરતે મારે સરદારની વતી મદદ કરવી. આથી વધારે અર્થ મારી દૃષ્ટિએ અસંભવિત છે. કમનસીબે આપે અણધાર્યું પગલું ભર્યું છે. આપે નીમેલાં નામ સરદારનાં નામમાં ઉમેરવાનો બોજો મારી ઉપર ઢોળ્યો છો. આમ સરદારને મળેલા અધિકારની ઉપર પાણી ફેરવાય એવો અનર્થ આપ મારા વચનમાંથી કાઢો છો. એ દુઃખદ છે.
“એટલે જોકે આપના કાગળ પછી મારે તો સરદારની વતી આપને નામ મોકલવા ઉપરાંત કંઈ કરવાપણું ન હતું, છતાં મેં તે મજકૂર ચાર ભાઈઓમાંથી ત્રણને સરદારના નામમાં દાખલ થવા અને સાતની એક ટીમ તરીકે કામ કરવા વીનવ્યા. એ વિનવણીમાં હું છેક નિષ્ફળ ગયો છું. અહીં આપનાં નામોને માન આપવાના બને તેટલા પ્રયત્નની હદ આવે છે. આપના કાગળમાં આપે ચોથા નામનો ઉલ્લેખ કર્યો છે. શ્રી મોહન માંડણને મારી પાસે આવીને ચર્ચા કરવાની તસ્દી આપવાનું મેં દુરસ્ત નથી ધાર્યું, કેમ કે તેઓ પોતે હરિજન નથી.
“પણ મજકૂર ચાર નામ રહી જાય છે, તેનો એવો અર્થ મુદ્દલ નથી કે સરદારે આપેલા ભાઈઓ મુસલમાનના, ભાયાતોના, હરિજનોના કે બીજા કોઈના ખાસ અને વાજબી હકોની કાળજી નહીં રાખે. એ ભાઈઓ પાસે આ કમિટી પરત્વે અને સામાજિક સેવાની દૃષ્ટિએ જાતપાત નથી, તેઓની સામે તો રાજકોટની સમસ્ત પ્રજા જ છે. તેઓ જ કમિટીમાં આવે છે, કેમ કે તેઓના મંડળે સમસ્ત પ્રજાના હકને સારુ લડત ચલાવી. આપે તેની કદર કરીને પરિષદ વતી સરદારને કમિટીમાં અમલદાર વગર બહારનાં રાજકોટ સ્ટેટનાં સાત નામ આપવાનો અધિકાર આપ્યો. એ નામ નીચે પ્રમાણે છે :
૧. શ્રી પોપટલાલ પુરુષોત્તમદાસ અનડા બી. એ. એલએલ. બી.
૨. ” પોપટલાલ ધનજી માલવિયા
૩. ” જમનાદાસ ખુશાલચંદ ગાંધી
૪. ” બેચરભાઈ વહાલાભાઈ વાઢેર
૫. ” વ્રજલાલ મયાશંકર શુકલ
૬. ” જેઠાલાલ હ. જોશી
૭. ” ગજાનંદ ભવાનીશંકર જોશી એમ. એ. એલ. એલ. બી.
“હવે પ્રમુખ સાથે ત્રણ સભ્યો આપે નીમવાના રહ્યા.
“ મારું માનો તો વળી વીનવું. આપ લખો છો કે હવે કમિટીમાં દસના અગિયાર ન થાય. આ મુદ્દો બરાબર નથી. દસ જ હોઈ શકે એવો પ્રતિબંધ વડા ન્યાયાધીશના નિર્ણયમાં નથી. બંને પક્ષ મળીને ગમે તે ફેરફાર કરી શકે છે. આપનાં નામ કાયમ રાખવામાં સરદાર આપને હજુ મદદ કરવા ઇચ્છે છે, શરત આટલી જ કે જે વધારો થાય તેમાં પરિષદની બહુમતી રહે. અત્યારે એટલે વડા ન્યાયાધીશના નિર્ણચ પ્રમાણે એની બહુમતી ચારની છે તેને બદલે આપને ખાતર, કંકાસ ટાળવા ખાતર, ફક્ત એકની બહુમતી રાખવા હજી સરદાર તૈયાર છે. આથી વિશેષની આશા આપ કેમ રાખો ?