પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૮
સરદાર વલ્લભભાઈ

કારણે પણ ખાદીની વપરાશ તથા કાંતણપ્રવૃત્તિને વેગ મળ્યો હતો. સરદારે પણ જેલ દરમ્યાન સારી પેઠે કાંત્યું.

૧૯૪૧ના એપ્રિલમાં જે વખતે સરદાર યરવડા જેલમાં હતા ત્યારે અમદાવાદમાં હિંદુમુસ્લિમ રમખાણ ફાટી નીકળ્યાં તેની અહીં નોંધ લેવી જોઈએ. એ રમખાણોને લીધે અને ચોમાસામાં રેલની આફત આવી તેને લીધે ગુજરાતમાં વ્યક્તિગત સવિનય ભંગ મેથી ઑક્ટોબર સુધી મુલતવી રાખવો પડ્યો હતો. તે અરસામાં દેશમાં ઘણાં સ્થળોએ ફાટી નીકળેલાં હિંદુમુસ્લિમ રમખાણોનું આ રમખાણોને એક અંગ ગણી શકાય. એવી સખત લોકવાયકા હતી કે, કેટલાક ગોરા અમલદારોનો મુસલમાન કોમનાં તોફાની તત્ત્વોને ઉશ્કેરવામાં હાથ હતો. તોફાનોમાં નુકસાન તો ઓછાવત્તા પ્રમાણમાં બંને કોમોને થતું. અમદાવાદમાં હિંદુઓને વધારે વેઠવું પડ્યું હતું. એકંદરે જોતાં તેઓ ડરી પણ ગયા હતા. મુસલમાન લત્તાની નજીકમાં રહેતા સંખ્યાબંધ હિંદુઓ ઘરબાર ખાલી કરી પરગામ અથવા બીજા લત્તામાં રહેવા ચાલ્યા ગયા હતા. ઘણાઓએ પોલીસનું રક્ષણ શોધ્યું પણ તે સલામતીની ધીરજ રહે એટલા પ્રમાણમાં ન મળ્યું. હિંદુમુસ્લિમ સંપની ખ્યાતિવાળા અમદાવાદે આ રમખાણોમાં પોતાની ઈજ્જત ગુમાવી. તેથી જેલમાં સરદારને બહુ દુઃખ થયું. તે મહાદેવભાઈ ઉપર તા. ૧૧-૫-’૪૧ના રોજ લખેલ નીચેના કાગળ પરથી જણાઈ આવે છે :

યરવડા મંદિર,
૧૧-૫-’૪૧
 

“પ્રિય ભાઈ મહાદેવ,

“આપણા માણસો કેમ આમ ભાન ભૂલી ગયા અને છેક જ ડરી ગયા એ હું સમજી જ શકતો નથી. … સામાન્ય લોકો આટલા ડરી ગયા એનું કારણ આપણા માણસો ઘરમાં ભરાઈ ગયા એ જ લાગે છે. પણ તમને તો બધી ખરી હકીકત મળી જ હશે. જે થયું હોય એ તો થયું. એ ઢોળાઈ ગયેલા દૂધ પાછળ રડવામાં શું વળે ? માટે ભવિષ્યનો વિચાર કરી રસ્તો કરવો જોઈએ. આગળ કઠણ વખત આવી રહ્યો છે. જેની સાથે લડવા નીકળ્યા એની (એટલે કે સરકારની) મદદની આશા રાખવી એ મૂર્ખાઈ જ ગણાય. આ બાબત તમે ત્યાં કંઈક વિચાર્યું તો હશે જ.
“મુંબઈનો મામલો પણ હજુ ધૂંધવાતો લાગે છે. પટણામાં હવે શમી ગયું હશે. આ તો આભ ફાટ્યો છે. આ પણ ભય હતો તે આગળ આવ્યો છે, ઈશ્વરે ધાર્યું હશે તે થશે.

લિ.
વલ્લભભાઈના વંદે માતરમ્”