પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪
સર્વોદય

વળી જો આપણે કબૂલ કર્યું કે માણસોની પાસેથી કામ લેવાની શક્તિ તે દોલત છે, તો આપણે એમ પણ જોઈ શકીએ કે તે માણસો જેટલે દરજ્જે હોશિયાર અને નીતિવાન હોય તેટલે દરજ્જે દોલતનું માપ વધ્યું. એમ વિચારતાં આપણે જોઈશું કે ખરી દોલત તે સોનુંરૂપું નથી પણ માણસો પોતે છે. દોલતની ખોળ ધરતીનાં આંતરડાંમાં નથી કરવાની, પણ માણસના દિલમાં કરવાની છે. અને એ વાત ખરી હોય તો અર્થશાસ્ત્રનો ખરો નિયમ તો એ થયો કે જેમ બને તેમ માણસોને તનમાં, મનમાં ને માનમાં આરોગ્ય રાખવા. એવો અવસર પણ આવે કે જ્યારે ઇંગ્લંડ ગોવળકોંડાના હીરાથી ગુલામોને શણગારી પોતાની દોલતનો દેખાવ કરવાને બદલે, ખરા ગ્રીસના નામાંકિત માણસે કહેલું તેની માફક, પોતાના નીતિમાન મહાપુરુષોને બતાવી શકે કે,

'આ મારી દોલત છે.'