પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
सासुवहुनी लढाई
 

બીજાઓ આગળથી આવીને બેઠેલા તેથી એમને બેસવાની જગા ન મળે ને બેસવું તો મોખરે, તેથી વચમાં ગુસી આગળ બેઠા હતા તેમના ખોળામાં બેસી ગયા. પેલાએ તેમને ઉઠાડી દીધા એટલે હો હો થી મારા મારી પર આવતા હતા. જેમ તેમ કરતાં સમાધાન થયું તોએ કલકલાણ એટલું થાય કે કાને પડ્યું સંભળાય નહીં.

જગનાથ પાઠેક પટેલ હતા તેમણે ઉભા થઈ મોટી તાળીઓ ને બુમો પાડી કહ્યું સાંભળો મહારાજો સાંભળો, ભૂદેવો સાંભળો. આ રમાનંદ પંડ્યા જ્ઞાતિને અરજ કરે છે તે સાંભળી એમનો નિકાલ કરો, આજ એમને બે લાંગણ થઈ છે.

એ સાંભળી બધા છાના રહ્યા. રમાનંદના ભાઈએ કહ્યું હવે નાતની જુની રીત ટુટવા માંડી છે, નાતને ભેગી કર્યા વગર લોકને નાતબહાર મુકવા એ હાલજ બન્યું છે, આ વૃદ્ધ ભૂદેવો બેઠા છે તેમને હું પુછું છું કે પૂર્વે કોઈવાર એવું બન્યું છે, શું આપણામાં આગળ કોઈ શાસ્ત્રો ભણેલું ન હતું. શો અન્યાય અમે કર્યો છે કે અમારા ઘરની આબરૂ એ લોક લેવા તઈઆર થયા છે.

દેવનારાયણ શાસ્ત્રીના બનેવીએ કહ્યું શાસ્ત્રી મહારાજનો શો વાંક છે. એમનો ધર્મ છે જે કોઈ પ્રશ્ન પુછે તેને ધર્મશાસ્ત્ર પ્રમાણે ઉત્તર દેવો. જેઓ એમને પુછવા ગયા તેઓને એમણે યથાર્થ હતું તે કહ્યું, એ કોઈને ઘેર કહેવા ગયા નથી; નાતનું નાક ગયું, મોહો કાળું થયું, મુસલમાન ફકીરની જોડે એમની વહુવારૂ જતી રહી, ને રાત્રે તેની સાથે તેનું રાધેલું જમી; બીજી વહુવારૂ મુસલમાનના ઘરમાં ખાટલામાં મરી ગઈ, તેનુ પુતળ વિધાન ન કર્યું, ને બાળી આવનારાએ પ્રાયશ્ચિત ન કર્યું. હવે જ્ઞાતિ એને ઘેર કેમ જમે. આ કલજુગમાં પણ આપણી સર્વોત્તમ વરણમાં આજ સુધી એવું નીચું જોવાનું બન્યું નથી, સ્ત્રીહત્યા કોઈએ કરી નથી, ને એવો અધર્મ થયો નથી.'

એ સાંભળી ચંદાનો મામો એ બોલનાર ઉપર મહા-ક્રોધ કરી ધસ્યો, ને તેનો ટોટો ઝાલ્યો. હાંહાં, ખમા, એમ કેટલાક બોલ્યા, ને કેટલાએક વચમાં પડી બને છુટા પાડ્યા. ચંદાનો ભાઈ કહે શું અમે કાંચળીઓ પહેરીને બેઠા છીએ, શું અમને બોલતાં નથી આવડતું ? આપણે જાણીએ નાતના છીદ્ર કોણ ઉઘાડા પાડે, ને બીજી જ્ઞાતિવાળાને નાતની એબ કોણ દેખાડે, પણ હવે બોલ્યા વગર કેમ રહેવાય. ઘેર ઘેર માટીના ચુલા છે, મારી બેનને ફકીર જોડે જમતાં કોણે જોઈ છે, જેણે જોઈ હોય તે આ ઠેકાણે આવી સામો ઉભો રહે. આપણી જ્ઞાતિની બીજી ઘણીએ બાએડીને મેં એ ફકીરને તકીએ જતાં દીઠી છે, કોહોતો તેનાં