પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭
સાહિત્ય.

અધીરી બનેલી અણપતીજ આણતી રંભાની ચિંતા દૂર કરવાની છે; અર્થાત્ ઉક્તિ રંભા પ્રત્યે જ છે. આથી વનમાળી નીચે પ્રમાણે ભાષાન્તર આપે છે.

"(સહo એક ક્ષણ પછી ) સખી ! નિશ્ચિંત થા–જો ઓ પણે આકાશમાં હરણની ધજા ફરકે, ને આ પેલો સોમદત્ત રથ એ રાજર્ષિનો દેખાય. એ કાર્ય સિદ્ધ કર્યા વિના પાછા ફરે નહિ."

કહેવાની જરૂર રહેતી નથી કે વનમાળી પ્રતિભાના બળે પ્રસંગ પોતાના મન આગળ ખડો કરી પછી તેના નૈસર્ગિક સ્વરૂપમાં તે વાંચનાર આગળ રજુ કરે છે, ત્યારે કીલાભાઈ પ્રતિભાને અનુસરવાનો ઉદ્દેશ બાજુ ઉપર મુકી અર્થને વળગી રહે છે. પહેલી ધજાઓ દેખાવી, પછી રથ ઓળખાવો, ને તે ઉપરથી રાજાના વિજયનું અનુમાન બાંધવું એ નિરૂપણ કેવું સ્વાભાવિક છે ?

સહજન્યાએ લક્ષ ખેંચવાથી સર્વે અસરાઓ ઉંચી દૃષ્ટિ કરી જુએ છે, તેવે સામેથી રાજા ઉર્વશીને અને ચિત્રલેખાને લેઈને આવે છે. ઉર્વશી ભયથી બેશુદ્ધ થઈ ગઈ છે. ચિત્રલેખા અને રાજા તેને હોંશીઆરીમાં આણવા પ્રયત્ન કરે છે. અહિં પુરૂરવાના મુખમાં सुन्दरि समाश्वसिहि समाश्वसिहि એ શબ્દો મૂકેલા જે જોવામાં આવે છે તે ચિત્રલેખાની ઉક્તિની પુનરૂક્તિ રૂ૫ છે, અર્થાત્ ક્ષેપક છે, બીજી પ્રતને અનુસરીને વનમાળીએ તે છોડી દેવા જોઈતા હતા. આ પછીની થોડી ઉક્તિ પછી ઉર્વશી પોતાને પકડનાર કેશિ દાનવનો અંતરમાં ઉપકાર માને છે. તે વખત વનમાળીએ दाणवोहिं પાઠ સ્વીકારવામાં ભૂલ કરી છે, એ અમારે કહેવું જોઈએ. બીજી પ્રતનો दाणवेण પાઠ ઈષ્ટ છે.

વિક્રમોર્વશીના વનમાળીના અનુવાદનું વાર્ત્તિક લખવું એ અમારો ઉદ્દેશ ન હોઈ અનીચ્છાએ પણ અમે ઘણા મનહર અને રમણિય પ્રસંગો છોડી દઈએ છીએ; તોપણ છૂટાં છૂટાં મનહર ચિત્રો આપવાની લાલસા તજી શકતા નથી. એક ચિત્ર સખીસમાગમના પ્રસંગનું નીચે આપીએ છીએ.

(અનુષ્ટુપ.)

લતાને આર્તવી લક્ષ્મી ભેટે તે વિધ સુંદરી,
ઝંખતી સખીઓને આ અધીરી જૈ મળે ફરી.