વસ્તુ લેઈને નાટકો લખ્યાં અને ઇંગ્રેજીમાંથી પણ આપણી ભાષામાં ઉતાર્યા એ અમે યોગ્ય સ્થળે કહી ગયા છઈએ.
નાટકોની રચનામાં તેમનો એક આગ્રહ દૃઢ હતો કે પ્રાકૃત વર્ગની અધમ રૂચિની ખાતર નાટકમાં અધમતા આણવી નહિ, પણ લોકસમાજ ઉન્નતિ ગ્રહણ કરી શકે તે માટે ઉન્નતિસાધક અંશો નાટકમાં દાખલ કરવા. એમનો આ નિયમ સ્તુત્ય હતો. પરંતુ બીજા લખનારાઓએ રા. રણછોડભાઈનો આ ઉચ્ચ આશય જાળવ્યો નથી. નવી થયેલી નાટકમંડળીઓ પોતાના પ્રેક્ષકોની તૃપ્તિ સારૂ નવાં નાટકો મેળવવા ફાંફાં મારતી હતી અને ઘણાં નવાં નાટકોનો જન્મ આવી વાંછનાને જ આભારી છે. આમ જન્મેલાં નાટકોમાં રા. રણછોડભાઈના નિયમોનો કેવળ અનાદર થયો છે એ ઘણું શોચનીય છે. ગુજરાતી નાટકસાહિત્યની વૃદ્ધિ થઈ નહિ, તેમાં ઉચ્ચતા આવી નહિ, એનું આ એક મોટું કારણ છે. ઉપર કહી ગયા તેમ ગુજરાતી નાટકસાહિત્યનો આરંભ હિંદુ સંસારમાં સુધારો કરવાની ભાવનાથી થયો. આ બળને બીજાં પણ બળ આવી મળ્યાં હતાં.
નવાં લખાયલાં નાટકોની સંખ્યા ઘણી થોડી છે, એ શોચનીય છે. પૌરાણિક વસ્તુ ઉપરથી રચાએલાં નાટકેમાં રા. રણછોડભાઈનું ‘બાણાસુર મદમર્દન,’ અંગ્રેજી ભાષાન્તર ઉપરથી કરેલું ‘હરિશ્ચન્દ્ર’ અને કવિ નર્મદનાં ‘દ્રૌપદી દર્શન,’ ‘રામ જાનકી દર્શન,’ અને ‘બાળકૃષ્ણ વિજય’ વગેરે આવી જાય છે. નર્મદાશંકરમાં એ પ્રકારનું કવિત્વ ન હોવાને લીધે આ નાટકો એમની કવિતાની પેઠે પ્રસિદ્ધિ પામ્યાં નથી. રસિક અને શુદ્ધ ભાષામાં લખાયલું રા. મધુવચરામ વહોરાનું ‘નૃસિંહ નાટક’ અને કેટલાક સારા અંશોવાળું રા. ભટ્ટનું ‘શ્રવણ પિતૃભક્તિ નાટક' પણ આ વર્ગમાં જ આવે છે; બન્ને અત્રે નોંધ લેવા જેવાં છે.
ઐતિહાસિક નાટકોમાં રા. ગણપતરામનું ‘પ્રતાપ નાટક’ પ્રસિદ્ધ થયું હતું. એ ગ્રંથ વાંચીને કાઠીઆવાડના વિદ્વાન સ્વ. મણિશંકર કીકાણીએ પોતાનો અભિપ્રાય દર્શાવ્યો છે તે અમારો પણ આધીન મત છે. સ્વ. મણિશંકર કહે છે કે તે ‘દૃશ’ નાટક નથી. આ પુસ્તકના