પુસ્તકો મેળવવામાં ઘણી ઘણી અડચણો પડતી હતી અને પુસ્તક મળ્યા પછી તેને ઉતારી અગર ઉતરાવી લેવાનું કામ ઘણું કંટાળા ભરેલું અને ખરચાળ હતું. નવી દાખલ થયેલી કેળવણીને લીધે અને જુદી જુદી નવી નીકળેલી સંસ્થાઓને લીધે સામાન્ય રીતે પ્રજામાં જે ચાંચલ્ય આવ્યું હતું તેના પરિણામ તરીકે શરૂવાતમાં અમદાવાદમાં ત્રણ છાપખાનાં નીકળ્યાં હતાં. પ્રથમનાં છાપખાનાં શિલા પ્રેસનાં હતાં. આ તરફ એટલે અમદાવાદમાં સામળનું નામ વધારે જાણીતું તેથી સામળભટની વાતો ઘણી વંચાતી. લોકોને વાંચન પૂરું પાડવાના હેતુથી અમદાવાદના એક જૂના છાપખાનાવાળા બાજીભાઇ અમીચંદે સામળની ઘણી વારતાઓ છાપી હતી. શિલાપ્રેસને સારૂ છાપવાના પુસ્તકની પ્રથમ નક્કલ કરવી પડતી હોવાથી લખનારાઓના જ્ઞાન પ્રમાણે આ વારતાઓમાં વિચિત્ર ફેરફાર થતો. સહેજ મળતા આવતા શબ્દોમાં, જ્યાં શબ્દ ન બેશે ત્યાં નવો શબ્દ ઘોચી ઘાલવાથી ફેરફાર થઇ જતો, તેમ જ અમુક શબ્દ ઉમેરીને વાંચવાની આંચળી હોવાથી પણ મૂળમાં ઘણો તફાવત પડી જતો.
ખૂદ સાહિત્ય અને પ્રજાના જ્ઞાનની વૃદ્ધિને માટે કાઢેલા બુદ્ધિપ્રકાશમાં જ કેવું અને કેવી રીતે લખાતું તે 'બુદ્ધિપ્રકાશ'ના ત્રીજા પુસ્તકના એક અંકમાંથી નીચે આપેલા અવતરણથી સમજાશે. તેમાં લખે છે કે:—
'પેહેલુ જે લોકોને વર્ત્તમાંન પત્ર અને ચોપાનીયાં વાંચવાની ટેવ હોય છે, તેઊનેં એવી સારી રીતે વાંચતા આવડે છે કે બે ઘડી લોક જોઈ રેહે છે. કેમકે જેવા ડોલથી વાંચવુ જોઈએ તેવો ડોલ કરીને વાંચે