પ્રાચીનકાવ્ય ત્રિમાસિક નીકળ્યા પછી જૂની કવિતાનો ઉદ્ધાર કરનાર 'અપ્રસિદ્ધ ગૂજરાતી કાવ્ય' નામે એક સામયિક પત્ર નડીઆદમાં રા. ચતુરભાઇ પટેલે કાઢ્યુ હતું. એને લીધે પણ કેટલાક જૂના કવિયો અને જૂનાં કાવ્યો ગુજરાતી પ્રજાની જાણમાં આવ્યાં છે. રા. ચતુરભાઇએ ઉત્સાહથી આરંભેલા આ પત્રે વધારે જીવન ભોગવ્યું નહિ એ ગુજરાતી સાહિત્યને ગેરલાભ જ થયો છે.
પ્રાચીનકાવ્ય ત્રિમાસિકે થોડાં વર્ષ જીંદગી ભોગવી એટલામાં સુભાગ્યે દિ. બા. મણિભાઇ જશભાઇ વડોદરાના દિવાનપદે આવ્યા. તેમના પ્રયાસથી શ્રીમન્મહારાજા ગાયકવાડ સયાજીરાવે ગુજરાતી જૂની કવિતા પ્રસિદ્ધ કરાવવાનું ઘણું સ્તુત્ય કાર્ય આરંભ્યું.
શ્રીમન્મહારાજાએ એ કામમાં સારી રકમ ઉદારતાથી આપી અને એક કમિટિ નીમીને ગ્રંથો પ્રકટ કરવાનું કામ તેને સોપ્યું. ખાસ વહીવટ રા. હરગોવંદદાસ પાસે હતો. શાસ્ત્રી નાથાશંકર વગેરે એમની જોડે આ પ્રશંસનિય કાર્યમાં સામીલ હતા.
નવી નીકળેલી આ ગ્રંથમાળાને 'પ્રાચીન કાવ્યમાળા' નામ આપ્યું હતું. આ પુસ્તકોમાં કવિવાર જેમ મળી આવી તેમ જૂની કવિતા પ્રગટ થઈ છે. કવિનું જીવન, ગ્રંથનો સાર, પ્રસ્તાવના અને મૂળ ગ્રંથ એમ પ્રકટ કરવાનો સામાન્ય રીતે ક્રમ રાખ્યો હોય એમ જણાય છે. બની શકે ત્યાં એકથી વધારે પ્રતો ઉપરથી પાઠ મુકરર કરવામાં આવ્યા છે અને શબ્દાર્થ આપતી વખતે ટૂંકી–ઘણીવાર છેક જ ટૂંકી–ટીકા પણ આપવામાં આવી છે. આ ગ્રંથમાળાને માટે 'સુદર્શન'માં કોઇ 'સત્યને ચહાનાર' ચર્ચાપત્રિએ લખ્યું હતું. કે તેમાં '(આ કાવ્યમાળામાં) એક સંગ્રહ થાય છે તે ઠીક છે, એ કરતાં વધારે સંતોષ ભરેલો અભિપ્રાય, અભિપ્રાય આપવાની યોગ્યતા ધરાવનાર કોઈએ આપ્યો નથી.' અમારો આધીન અભિપ્રાય આથી જૂદો છે. એક કામ કોઈએ પ્રથમ કર્યું તેનાથી વધારે સારી રીતે કરી શકાય એમ હોય એટલા જ ઉપરથી માત્ર પેલા પ્રથમ કરનારની કીર્ત્તિ અને માન ઓછું થતું નથી. જે સમયે કાવ્યદોહન સિવાય બીજાં જૂની કવિતાનાં પુસ્તકોનો જન્મ