હિંદવાણી નથી થતી, તેમનાં શરીર બદલાતાં નથી અને અંતરના ગુણો પણ એવાને એવા જ રહે છે. સાથી ભાષાન્તરકાર વગેરેનું કામ ઘણું સૂક્ષ્મ, અને વિકટ છે. મોટા મોટા એમાં ગોથાં ખાય છે તો ન્હાના ન્હાનાની તો વાત જ શી ? એક કવિયે લક્ષ્મણવિયોગથી રામચંદ્રને રોવડાવીને ‘સીતા સરખી સહસ્ત્ર જ મળશે’ એમ કહેવરાવ્યું છે. પ્રેમાનંદ સરખાએ પણ આવી ભૂલ કરી છે. નળાખ્યાનમાં ‘મોસાળ પધારોરે’ એ કડવામાં દમંયતી પાસે એ કવિયે કહેવરાવ્યું છે કે ‘સહેજો મામા મામીની ગાળ !’ દમયંતીનાં ભાઇ ભોજાઇ પણ ચાતુર્વેદી બ્રાહ્મણ હશે ! ‘મેઘદૂત’ના યક્ષને અગર કાલિદાસને નવલરામે પણ પ્રારબ્ધવાદી વેદાંતિ બનાવી દીધો છે.....આવી ભુલો ન કરવા બાબત નવલરામે પોતે જ કેટલેક પ્રસંગે કહેલું છે; આ ભાગ સુધારી શક્યા નથી, અને કદાચિત જીવ્યા હોત તો સુધારત. પણ ભાષન્તરકારને આવી મુશ્કેલિયો છે તે મેઘદૂતના ભાષાન્તરમાં પણ પ્રસંગે દેખાય છે. અને મુશ્કેલિયો દૂર કરવાની મુશ્કેલિ ભાષાન્તરકારો જ સમજશે. છતાં નવા યોજેલા ‘મેઘછંદ’માં લખેલું, બને એટલું સરળ, અસલનો ઉચ્ચ અને સુક્ષ્મ રસ જાળવવા સ્પષ્ટ અને યથાશક્તિ પ્રયત્ન કરતું, અને ગુજરાતીને અનુકૂળ થતું મેઘદૂતનું ભાષાન્તર મૂળ ગ્રંથના પરિચિત વાંચનારને મૂળ ગ્રંથનું ભાન કરાવે છે, અને એથી જ કાદમ્બરીના ભાષાન્તર અને રા. રણછોડભાઈ એ કરેલાં ભાષાન્તરો પેઠે આ ભાષાન્તર પણ આપણા ભાષાન્તરકારોને અનુકરણીય છે. આ ભાષાન્તરનો ઘણોક ભાગ આનંદથી વાંચી જવાય એવો છે. જેમ જેમ આગળ વધે છે તેમ તેમ કલમ કસાતી સ્પષ્ટ માલમ પડે છે અને કાલિદાસની છાયા ભાષાન્તર પર કંઈક ઘટ થવા માંડે છે. ભાષાતરમાં ‘શબ્દાર્થની શુદ્ધતા કરતાં આ છાયાની શુદ્ધતા વધારે ઉપયોગી છે.’ મેઘદૂત છૂટાં છૂટાં ઘણાં મનોહર ચિત્રોથી ભરપૂર છે અને એ ચિત્રો અલૌકિક કળાથી સંકલિત કરી દઇ કાલિદાસે રસનો અવિચ્છિન્ન પ્રવાહ વહેવડાવ્યો છે, દરેક છૂટા ચિત્રોના ભાવ–રસ–વગેરે સારી રીતે ગુજરાતીમાં ઉતાર્યા છે તોએ નવલરામના મેઘદૂતમાં એ ચિત્રો છૂટાં છૂટાં જ જણાઈ આવે છે અને અખંડિત રસપ્રવાહ મૂળ કાવ્ય પ્રમાણે વહેતો નથી. આમ