જૂના કવિયોની કેટલીક કવિતા ચુંટી કાઢી તેના ઉપર સ્હેજ ટીકા આપીને ‘કાવ્ય નિમજ્જન’ નામથી રા. હરિકૃષ્ણ બળદેવ તરફથી એક પુસ્તક પ્રગટ થયું હતું. કવિ નર્મદે રાખેલી જોડણીનું થોડું ધોરણ એમાં રાખ્યું છે. એ જ પ્રમાણે વીસમા સૈકાના લખનારાઓની કવિતામાંથી ચુંટી કાઢીને રા. હિમ્મતલાલ અંજારીઆએ ‘કાવ્યમાધુર્ય’ નામે નાનું સુંદર પુસ્તક બહાર પાડ્યું છે. સરકારી હાઈસ્કુલોમાં શિખવાય એવા હેતુથી બીજાં પણ આ જાતનાં કેટલાંક પુસ્તકો નીકળ્યાં છે. એઓમાંનાં કેટલાંક લેવી જોઈએ એટલી સંભાળથી લખાયાં હોય એમ જણાતું નથી કેમકે તેમાં હસવું આવે એવી ભુલો પેશી જવા પામી છે. એકમાં રખીદાસનું રહેવાનું ઠેકાણું ‘ડાકોર પાસે સુંજ ગામ’ લખ્યું હતું. બીજામાં કાહ્નડદે પ્રબંધના કર્તા પદ્મનાભ કવિને જૈનનો મુડીઓ ઠરાવ્યો છે ! શાળાઓમાં શિખવાય એવી લાલસાથી લખાયલાં આવાં પુસ્તકોમાં ખોટી બાબત ન આવી જાય માટે વિશેષ કાળજી રાખવી જોઈએ.
હવે આ સાઠીમાં નવી લખાયલી કવિતા તરફ નજર કરીએ. સાઠીની શરૂવાતમાં અમદાવાદ અને સુરત બન્ને શહેરોમાં કવિયોનો ગુંજારવ સંભળાવા માંડ્યો હતો. ભુજની પોશાળમાં વૃજભાષા અને સંસ્કૃત કાવ્ય શાસ્ત્રનો અભ્યાસ કરીને કવિપણું લીધેલા દલપતરામ આ બાજુ, અને એવા અભ્યાસ વગરના પણ કવિતા કરવાના કોડવાળા નર્મદ સુરત તરફ; ઇંગ્રેજી કેળવણીના લાભનો અભાવ છતાં પણ સાહેબ લોકોના ઘાઢા પરિચયને લીધે ઇંગ્રેજી વિચારની માહિતી મળેલા ઠાવકા, મીઠા, ધીરા, અને વિચારવંત કવીશ્વર પોતાના કાર્યને આરંભે ક્યાં ક્યાં સુધારો ઈષ્ટ હતો તે જોઈ શક્યા હતા. જનમંડળમાં દુર્ગંધ મારતો કિયો અવયવ છે તે કુશળ શસ્ત્રવૈદ્યની પેઠે તેમને માલમ પડ્યો હતો. પણ શસ્ત્રવૈદ્યું કામ ન લગાડતાં માત્ર ચિકિત્સાથી આરામ કરવાની વૃત્તિવાળા હોવાથી “ધીરે ધીરે” રૂચતી પણ સચોટ બાનીમાં પોતાના વિચાર જાહેર કરતા. ઇંગ્રેજી કેળવણીનો લાભ પામેલા કવિ નર્મદ ઇંગ્રેજી માપથી આપણા સંસારને માપી તેનાપર ઠોક પાડતા. દલપતરામ જ્યારે લોકને રૂચતી ભાષામાં કહેવાની ખાસ કાળજી