મેળાપ અર્થે સંદેશા ચાલુ કરીને દૂત કાર્ય બતાવ્યું છે; 'મત્ત ગજેંદ્રમાં નાયિકા વર્ણન અને કૌમુદી માધવમાં નાયક નાયિકાનો મેળાપ સૂચવ્યો છે; અને અહીં શૃંગાર કુંજની સમાપ્તિ કરી છે. પાંચમું કાવ્ય સ્વદેશ પ્રીતિને લગતું છે, ને વીરરસ પ્રાધાન્ય છે, એ બે વિલાસોથી શૃંગાર અને વીરરસ બનાવેલા છે.
ત્રીજા વિલાસમાં આઠ કાવ્યો છે, જેમાં સ્વ. ધ્રુવનાં છ અને એક રા. માણેકલાલ શાકરલાલનું અને એક અમારૂં છે.
આખા ગ્રંથમાં શૃંગાર રસની વ્યાપકતા તો છે જ. આ કાવ્ય ગુજરાતી સાહિત્યમાં એક ઉત્તમ પ્રતિનું છે. 'કુંજવિહાર' ગમ્મતનો ગ્રંથ હોવાથી તેમાં રાગ રાગિણી પણ સરસ ગોઠવ્યાં છે. તેથી સંગીત પ્રિય લોકોને પણ તે બહુ રૂચિકર થાય તેમ છે. પ્રાસ મેળવવા બનતો શ્રમ લીધો છે. તોપણ એ વાતનો આગ્રહ હોય એમ તો જણાતું નથી જ. સ્વતંત્ર રચનામાં એ આગ્રહ હોય તો બની શકે તેવું હોવા છતાં તેમ શ્રમ લીધેલો દીસતો નથી.
વસ્તુતઃ કુંજવિહારના બે ભાગ પડે છે. સ્વ. ધ્રુવની કવિતાનો એક અને દેરાસરીનો બીજો, સ્વ. ધ્રુવની કવિતા પરત્વેજ અત્રે પ્રથમ કહીશું.
તેમની કવિતા ભાવથી ઉછળી રહેલી અને છલકાઇ રહેલી છે. તેમની કલ્પનાઓ ઉમંગ અને ઉત્સાહના ઉભરાથી ભરપૂર છે. ‘નાગરઉદય' માં તેમણે લખ્યું હતું કે ‘પાંખ કલ્પના મુજ કરે ઝગઝગાર’ તે તેમની કલ્પનાના વેગનું યથાર્થ વર્ણન છે. જાતજાતની લાગણીઓના પ્રસંગમાં તેમની કલ્પનાનું નૃત્ય એક સરખું જ છે.
અહિં લહરિ શૃંગારનિ ઉલટે ! પણે ચંદ્રિકા મિલે !
આમ ધિકે વિરહ જ્વાળામુખી તહિં કૌમુદી રસ ઝીલે !'
બધે તેમની કલ્પના કોડભરી ગતિથી પગલાં ભરે છે. ભાવના ઉદ્દીપનથી તેમને પોતાને થતા હર્ષના લેહજતભર્યા ચિત્રમાં તેમની કવિતાનો ચમત્કાર રહેલો છે. દેશપ્રીતિની લાગણી પણ શૃંગાર જેટલી જ તેમને 'પરમ મુદાદાયી' છે. તેમને થયેલા રસાસ્વાદમાં રસિક જનોને સામીલ