વિચાર શક્તિથી તપાસતાં આ હસવા સરખું ભાસશે, ધર્મ કે તત્વજ્ઞાનના ગ્રંથમાં ( ઉદ્દિષ્ટ વ્યક્તિ વિશે ) આ મત લેશ માત્ર સમર્થ નહિ ગણાય, પણ કવિને શિર એ જવાબદારી છે જ નહિ, કવિત્વની પ્રેરણાની ક્ષણે આ ભાવ થયો છે એ જ કવિતાની કસોટી છે. અમુક વ્યક્તિને 'પ્રભુ અવતાર' સિદ્ધ કરવાનો અન્ત્ય આશય નથી તેથી સત્ય સાથે વિરોધ નથી, અને પ્રભુ સુખમય 'સદ્ગુણ ભંડાર, નિર્મળ નેહનું રૂપ છે' એ સત્ય ભાવનાનું અનુસરણ થાય છે.
આ ઉપરનું કારણ બતાવીને 'બુલબુલ' પુછે છે કે:—
'જોઉં તને આકાશમાં, ભૂમાં ધ્રુમાં તુંય;
'દશદિશ માંહિ તું ભરી, તુજ વિણ છે કહે શુંય ?'
'કંઈજ નહિ' એ જવાબ સહૃદયને કબુલ રાખવો પડશે. કૃત્રિમ અલંકાર અથવા સાહિત્યનાં સાંકેતિક પદ કોરે મૂકી હૃદયને લાગે તે લખવું એ 'બુલબુલ' નો નિશ્ચય જણાય છે. અને તે જ એની ખુબી છે. સુંદર કપાળ સામું જોતાં ચમત્કારજનક દેખાવ નિહાળી નિકળેલી
'વિખરી વાંકી અને કાળી−લલિત લટ શોભતી બાળી
અટકી ભાલેજ રૂપાળી ! ! અરે જા શું ખસેડે છે ? ! '
આ વાણી ભાવને જ અનુસરે છે અને તેનું જ ભાન કરાવે છે. આ અનુભવ થતાં આમજ વૃત્તિ થાય, એમ જાણતાં વાંચનારને કેટલો આનંદ થાય છે ! પ્રેમહીન હૃદયને પણ ક્ષણભર પ્રેમના ચમત્કારને અનુભવ કરાવે એવી આ લીંટીઓ છે.’
રા. નરસિંહરાવની કવિતાની શૈલી જૂદી છે, અને પાશ્ચાત્ય કવિતાની ખરી ખુબી ગુજરાતી સાહિત્યમાં ઉતારવાના એમના કેટલેક અંશે ફળીભૂત થયેલા પ્રયાસને માટે અમે કહી ગયા છઈએ. સુંદર અને રંગબેરંગી–પુસ્તકનું નામ સૂચવતી–પુષ્પની માળાના ચિત્રવાળું પુસ્તક નીકળતાંજ દૃષ્ટિને મનોહર લાગતું હતું. જેમ દૃષ્ટિને તેમજ વાંચ્યા પછી તેમની 'કુસુમમાળા' હૃદયને પણ આનંદ આપનારી નીવડી છે. અંતર્ભાવપ્રેરિત કાવ્ય–સંગીત કાવ્ય–અગર રા. રમણભાઈના શબ્દો વાપરીએ તો રસધ્વનિ અથવા રાગધ્વનિ