ઉત્સાહી તરૂણ અવસ્થામાં સંસારની મુશ્કેલીઓનો ખ્યાલ આવી શકતો નથી. આ અરસામાં જ એમણે ‘ગુજરાત અને કાઠિયાવાડ દેશની વાર્ત્તાઓ’ માં કેટલીક વાતો લખી હતી. છેવટે એઓ પાછા આવી અભ્યાસમાં જોડાયા હતા. ઉદ્યોગ, ખંત અને પ્રમાણિકપણે પોતાનો વકીલાતનો ધંધો કરતાં એમણે ગુજરાતી સાહિત્યમાં આવું સુંદર પુસ્તક ઉમેર્યું છે, એને સારૂ એમને ધન્યવાદ ઘટે છે. કેટલાંક વર્ષ ઉપર રૂપકગ્રંથીનો બીજો એક ગ્રંથ ગુજરાતી સાહિત્યમાં ઉમેરાયો છે. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના સંબંધવાળા રા. જીવનલાલ અમરશીએ ‘ધર્મજીરાવનું કુટુંબ અથવા વડોદરામાં મહારાજા મલ્હારરાવની કારકીર્દીનાં સ્હાડાત્રણ વર્ષ’ નામના રૂપકનું મરાઠીમાંથી દેશભક્ત નામના વર્ત્તમાનપત્રની ભેટ તરીકે ભાષાન્તર કર્યું છે. આ રૂપકનો આશય સ્પષ્ટ છે. મલ્હારરાવ ગાદીએ આવ્યા પછી દામોદરપંતરૂપી વિષય સંગમાં રહેતાં ધર્મ (ધર્માજીરાવ) અધિકારભ્રષ્ટ થયો; ધર્મની પત્ની સુમતિ, પુત્ર સદ્ગુણ અને કન્યા નીતિની દુર્દશા થઇ. ધર્મની મા સુબુદ્ધિને પથારી વશ કરી. આના પરિણામે મલ્હારરાવ પદભ્રષ્ટ થયો. સર. ટી. માધવરાવે સુબુદ્ધિને સચેતન કરી, ધર્મને પાછો આણ્યો અને તેનું તેમ જ સદ્ગુણ અને નીતિનું રક્ષણ કર્યું. ગાયકવાડી રાજ્ય થાળે પડ્યું. આવાં અર્થવચ્છદ નામો આપીને આ રૂપકગ્રંથી ગુંથાઇ છે. ભાષાન્તરકર્તાએ સરળ ભાષામાં મઝા પડે એવું આ પુસ્તક બનાવ્યું છે. જોકે એક બે જગાએ રૂપકમાં કાંઇ ન્યુનતા આવે છે પણ તે મૂળ ગ્રંથની જે છે. ભાષામાં મરાઠી રૂઢ પ્રયોગો વખતે નજરે પડે છે. બુદ્ધિ અને રૂઢિની કથા જેવી તો નહિ જ પણ એક રસિલી નવલકથાની આ રૂપકગ્રંથથી ગુજરાતી સાહિત્યમાં વૃદ્ધિ થઈ છે.
જેમ સંસાર સુધારાની ભાવનાને લીધે કેટલીક નવલકથા લખાઈ છે, તેમ રાષ્ટ્રીય ભાવનાને લીધે પણ નવલકથાઓ ગુજરાતી સાહિત્યમાં ઉમેરાઈ છે. આવા ઉદ્દેશથી લખાયલી કથાઓમાં રા. ઇચ્છારામ દેસાઈકૃત ‘હિંદ અને બ્રિટાનિયા’ મુખ્ય છે. ચાલીશેક વર્ષ પહેલાં ભાવનગરમાં ‘મનોરંજક રત્ન’ નામનું માસિક નીકળતું હતું. સુરતમાં રહેનાર એક