ગુજરાતી ભાષા છતાં પણ–ખરેખાત આવકાર ઘટે છે. આવા ગ્રંથ લખવામાં ઘણી ઘણી બાબતોના અભ્યાસ, ઘણી રંજ, ઘણો કાળ અને ઘણી ખંતનો ખપ પડે છે અને એવી રીતે લખેલા ગ્રંથો–બેશક સર્વ રીતે સંપૂર્ણ ન હોય તોપણ–સર્વદા સત્કાર યોગ્ય જ છે.
ઇંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાય આપનારા કોષની સંખ્યા નવ દશની થવા જાય છે. સ્વ. ઝવેરીલાલ યાજ્ઞિકે આ કોષ લખવાની પહેલ કરી હતી; અને ઘણા કાળ સુધી તેમના ગ્રંથે ચક્બે રાજ્ય કર્યું હતું. મી. રાણીનાનો એ પ્રકારનો ગ્રંથ ઉત્તમ રીતે લખાયો છે. ઘણા સુધારા વધારા સાથે એની બીજી આવૃત્તિ થઈ છે. મેસર્સ મોંટગમરી, મણિધરપ્રસાદ અને અંબાલાલનો આ પ્રકારનો કોષ ઘણા શ્રમ અને કાળજીનું પરિણામ છે. આ ગ્રંથના બે લખનારાનો સ્વર્ગવાસ થયો છે અને ત્રીજા લખનાર દિ. બા. અંબાલાલ સાકરલાલ દેસાઈ એમણે એકલાએ એની બીજી આવૃત્તિ પ્રગટ કરી છે. ગુજરાતી પર્યાય આપતાં આ ગ્રંથમાં નવા શબ્દો ઘડી ઘડીને મુક્યા છે એવો પ્રથમ આવૃત્તિ ઉપરનો કેટલેક અંશે યોગ્ય આક્ષેપ ધોઈ નાંખવાનો આ આવૃત્તિમાં સ્તુત્ય પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આ વિષયનો હુંડો તપાસતાં ગુજરાતી ભાષામાં સંપૂર્ણ અને સમર્થ કોષની ખોટ હજુ પૂરાઇ જણાતી નથી. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી આ કામને માટે ઘણા વર્ષથી શબ્દ સંગ્રહ કરે છે અને દર વર્ષે અમુક રકમ ખર્ચે છે;: તેની સ્તુત્ય મહેનત અને ખર્ચના બદલામાં ભાષાની સાહિત્ય સ્મૃદ્ધિમાં એક સારા સમર્થ અને લગભગ સંપૂર્ણ કોષનો ઉમેરો થશે એવી આશા છે.
(૨) પિંગળ–અલંકાર–વગેરે:— આ સાઠીની પૂર્વે અને શરૂવાતમાં વૃજભાષાનો પ્રચાર હતો તે વિશે અમે આગળ સહજ બોલી ગયા છઈએ. જૂની કવિતાનું સાહિત્ય આવું બહોળું છતાં આપણી ભાષામાં પિંગળશાસ્ત્ર સંબંધી એક પણ ગ્રંથ ન હતો. ભક્ત કવિ બહુધા જૂની પ્રચલિત દેશીઓ અને રાગમાં જ કવિતા લખતા. પ્રેમાનંદ અને એના શિષ્યો, શામળ અને બીજા જૂજ કવિયોએ વૃત્ત અગર છંદમાં કવિતા લખી છે. કેટલાક