આમ છતાં પણ રાજદ્વારમાં પોસાવાને લીધે એ અભ્યાસ ફેલાતો. નાગર, કાયસ્થ, ક્ષત્રિ વગેરે જાતોમાં અરબ્બી અને ફારસીના અભ્યાસિયો ઘણા મળતા. સ્વ. ભોળાનાથ સારાભાઈ ફારસીના સમર્થ વિદ્વાન હતા એ જાહેર વાત છે. છેક પચ્ચીસ–ત્રીસ વર્ષ ઉપર નાગરોમાં ફારસી અને ઉર્દુનો સારો અભ્યાસ કરેલી સન્નારીઓ ધરાધરી હતી.
બહુશ્રૂત માણસો ખસુસ કરીને વૃજભાષાનો અભ્યાસ કરતા. શ્રીમદ્ વલ્લભાચાર્યનાં નવરત્નોમાંના મહા કવિ નંદદાસજીની માનમંજરી અને અનેકાર્થમંજરી વાંચીને સુંદરશૃંગાર, કવિપ્રિયા, રસિકપ્રિયા, છંદશ્રંગાર, ભાષાભૂષણ, બિહારી સતસાઈ, વૃંદસતસાઇ, જશુરામ રાજનીતિ વગેરે ગ્રંથો શીખતા. વયોવૃદ્ધ થતાં સુંદરવિલાસ, તુલસીકૃત રામાયણ, યોગવાશીષ્ટ વગેરે વાંચતા. રાજકોટના આગળના ઠાકોર સાહેબ મહેરામણસિંહ અને મિત્રોએ લખેલો પ્રવિણસાગર ઘણો માનનીય ગ્રંથ ગણાતો. ભરૂચના વાણીઆ ગૃહસ્થે પોતાની મરણ પામેલી બહેનની યાદગીરી સારૂ લખેલી કિસન બાવની ઘણા મોંઢે કરતા. ગુજરાતી વાણીઆ ગૃહસ્થનો લખેલો પ્રેમસાગર અદ્યાપિ પણ વૃજ ભાષાનો શિષ્ટ ગ્રંથ ગણાય છે. થોડું સંસ્કૃત શીખીને વાતચીતમાં સંસ્કૃત શ્લોક અને સુભાષિત કવિતા બોલવાનો રિવાજ હતો. મુત્સદ્દી વર્ગના જે માણસમાં આવું અને આટલું જ્ઞાન ન હોય તે ગમાર ગણાતો.
સાધારણ માણસો ગામઠી નિશાળની કેળવણથી જ સંતુષ્ટ થઈને પોતપોતાના ધંધામાં પડી તેનું ખાસ જ્ઞાન સંપાદન કરતા. નિશાળેથી ઉઠી વગર પગારે સરાફીની દુકાને બેસતા. ત્યાં તેમને નામાનું અને વહીવટનું સચોટ જ્ઞાન ઉપલબ્ધ થતું અને 'સાડાસાતના પા’ની તરવારે વ્યાજ વગેરેમાં કીટ થઈ પોતાના ધંધામાં જોડાતા.
ઉપર કહ્યા તે સિવાયના બીજા લગભગ નિરક્ષર જેવા હતા. તેમને લેખનશુદ્ધિનું ભાન ધરાધરી નહોતું. હિંગ, મરી ને ટોપરૂં એ શબ્દોને સાટે 'હગ મર ટપર' લખતા. 'કાકા અજમેર ગયા છે અને કાકી કોટે છે' જણાવવાને બોડીઆ અક્ષરે લખતાં 'કાકા આજ મરી ગઆ છે અને કાકી