૭. બુદ્ધિપ્રભા આ નામનું માસિકપત્ર અમદાવાદમાં પ્રસિદ્ધ થવા લાગ્યું છે. એ પત્રના નેતા મુનિ બુદ્ધિસાગર અને તેમના શિષ્યો છે.
૮. આ શિવાય સનાતન જૈન નામનું માસિક સં. ૧૯૬૧ થી નીકળવું શરૂ થયું છે. તે અનિયમિત નીકળે છે ને હમણાં તો તે દેખાતું નથી. તેથી તેના જીવન વિષે શંકા ઉત્પન્ન થાય તેવું છે. ઉપલાં બધાં પત્રો જ્યારે શ્વેતાંબર મૂર્તિપૂજક વર્ગનાં છે ત્યારે આ પત્રને જૈનના ત્રણે ફિરકામાંથી એકેનો પક્ષપાત નથી અને ત્રણે ફીરકાના સંબંધમાં સમયાનુંકુળ યોગ્ય લેખો લખે છે. શતાવધાની કવિ શ્રીમદ્ રાજચંદ્રે પોતાની હયાતીમાં જે ધાર્મિક વિષય ચર્ચ્યા હતા તે સંબંધી પણ હકીકતો આ પત્રમાં આવે છે. આ પત્ર પ્રથમ રાજકોટમાં પ્રકટ થયેલું અને શ્રાવક માસિક સાથે સંબંધ ધરાવતા એક સાહિત્ય પ્રેમીએ એ કાર્ય માથે લીધેલું. પાછળથી એ પત્રને તેના સંપાદક રા. રા. મનસુખલાલ રવજીભાઈ મુંબાઈ લઈ ગયા ને તે ત્યાં પ્રકટ થાય છે. તે પત્રની પદ્ધતિ કાંઈ જુદી જ ખુબીવાળી છે. એ પદ્ધતિ મુજબ ચાર પાંચ પત્રો પ્રકટ થતાં હોય તો જૈન કોમમાં કંઈ જુદો જ રંગ જામત. એ પત્ર ત્રણે શાખામતોમાં ભ્રાતૃભાવ વધારવાનો જૈન યંગમેન્સ એસોસીએશનની માફક સારો પ્રયત્ન કરે છે ને તેવા લેખો લખે છે. એ રીતે એક અધિપતિને શોભે એવી પ્રશંસાને પાત્ર છે. એમાં આવતા ઐતિહાસિક લેખો ખાસ મનન કરવા જેવા છે. કેળવાયેલો વર્ગ એ પત્ર હોંસે વાંચે છે. જમાનાની સાથે જૈનોને આગળ વધારનારાં આવાં પત્ર જેમ વધારે પ્રકટ થાય તેમ વધારે સારું. આ પત્રની મોટામાં મોટી ખામી એ છે કે તે ઘણું અનિયમિત પ્રકટ થાય છે.
૯, જૈનજિત્તેચ્છુ સ્થાનકવાસી શ્વેતાંબરી જૈનો તરફથી પ્રસિદ્ધ થતું આ એક માસિક હયાત છે. દશ વર્ષ થયાં તે અમદાવાદમાં પ્રકટ થાય છે. શા. મોતિલાલ મનસુખરામની કલમથી કેટલાંક વર્ષ તે લખાયું ત્યાર પછી તેમના યુવાન પુત્ર શ્રીયુત્ વાડિલાલની જુસ્સાદાર કલમથી લખાવા લાગ્યું. હાલ તેમાં શાંતિસમાધીને પોષે તેવાં લખાણો શ્રીયુત્ વાડીલાલ તરફથી ચાલે છે. ખંડન–મંડનથી દૂર રહેવામાં જૈન સમુદાયની