નિકળ્યું હતું. રા. રા. મહીપતરામના શિષ્ય એમાં બહુધા લખતા. આ પત્ર નિડરતાથી ઠીક લખાતું હતું. અમારી યાદદાસ્ત પ્રમાણે અમલદાર વર્ગના વેઠ વગેરે જુલમ સંબંધી લખવાથી એકવાર કોર્ટે પણ ચઢ્યું હતું. આ પત્રમાં કેળવણી ખાતા સંબંધી લખાણ કરવા બદલ મહેતાજી પીતાંબરદાસને નોકરીનું રાજીનામુ આપવાની ફરજ પાડી હતી. 'ચંદ્રોદય' પછી બંધ પડ્યું હતું અને છુટા થયેલા મહેતાજીએ 'હિતેચ્છુ' નામનું વર્તમાનપત્ર કાઢ્યુ હતું. મહેતાજીની અને પુત્રની જુવાનીમાં આ પત્ર ઠીક ઘુમતું હતું. વેશધારી શંકરાચાર્યની બાબતમાં અને બીજી એક બે બાબતમાં કોર્ટૅ પણ ચઢ્યું હતું. પાછલા વખતમાં મહેતાજીની વૃદ્ધાવસ્થા થવાથી પત્રની ચંચળતા કમી થઈ હતી.
સંસાર સુધારણાની ભાવનાવાળું ટીકાકાર નામનું એક નાનું પત્ર હયાતીમાં આવી ગયું હતું.
સન ૧૮૭૫ માં અમારા ઈષ્ટ મિત્ર સ્વ. હ. હ. ધ્રુવ અને અમે 'સ્વદેશવત્સળ' નામનું એક વર્તમાનપત્ર કાઢ્યું હતું. નીકળતાં જ ‘રાસ્ત'ને જેમ નામમાં જ છિંડા શોધીને ‘ચાબુકે’ વધાવી લીધું હતું તેમ 'સ્વદેશવત્સળ'ને 'દેશી મિત્રે' કર્યું હતું. 'સ્વદેશ વત્સળ' માં લ ને બદલે ળ લખ્યો હતો તે વૈયાકરણી દેશી મિત્રને ભૂલ લાગી હતી; અને નામમાં જ ભૂલ તેમાં શો દમ હશે એવી પરમાર્થ ભરેલી અધગજની ટીકા કરી હતી ! દેશી મિત્રના જે અંકમાં અમારા ઉપર હમલો હતો તે જ અંકમાંથી એક બીજા વિષયની વીશેક લીટી લઈને અમે તેમાંથી એકસોને આઠ ભૂલ બતાવીને અમારા બીજા અંકમાં જવાબ આપ્યો હતો. ત્યાર બાદ તો એ ઠોલીયા પત્ર જોડે દોસ્તી થઈ ગઈ હતી ! અમારું પત્ર જે છાપખાનામાં છપાતું હતું તે ૧૮૭૫ ની મોટી રેલમાં પડી ગયું. છેક જ તરૂણ અવસ્થાવાળા માલિકો અને લખનારા હોવાથી છાપખાનાની જોડે પત્ર પણ પડી ગયું.
ત્યાર પછીના વર્ષોમાં 'પ્રજામિત્ર' 'હિંદુસ્થાન' અને 'ન્યાયદર્શક'