પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫
મુંબાઇ-સુરત-કાઠીયાવાડ વગેરેના કામ કરનારા ગૃહસ્થો.

અમદાવાદની પ્રવૃત્તિ સંબંધી અમે કહી ગયા છઇએ. ગુજરાતના સુંદર શહેર સુરતની પ્રવૃત્તિનું સહજ વર્ણન કરીશું. મહેતાજી દુરગારામ મંછારામના જીવનની થોડી હકીકત આપવાથી એ પ્રવૃત્તિનો ઈતિહાસ મળી જશે. એઓ સન ૧૮૩૦ માં સુરતની પહેલા નંબરની નિશાળના મહેતાજી તરીકે આવ્યા હતા. આ વખતે જ એમણે લોકસુધારણાનો પ્રયાસ હિમ્મતભરી રીતે આદર્યો હતો. એમણે માનવ ધર્મ સભા ઉભી કરી હતી અને તેમાં છચોક ધર્મ બગાડાનું ખંડન કરવાનું શરૂ કર્યું હતું. સુરતમાં એમના સાથીઓ તે વખત પાંચ દદ્દાના નામથી જાણીતા હતા. એ બધા ગૃહસ્થોનાં નામ દદ્દાથી શરૂ થતાં. દુર્ગારામ, દાદોબા, દલપતરામ (માસ્તર. સુરતવાળા), દીનમણિશંકર શાસ્ત્રી અને દામોદરદાસ. કોઈ છેલ્લાને બદલે દોલતરામ પણ કહે છે. દામોદરદાસ કોણ હતા તેની ખબર નથી. દાદોબા તે વખત ઇંગ્રેજી નિશાળના માસ્તર હતા. દોલતરામ નાગર બ્રાહ્મણ હતા. આ પાંચ જણાએ જ સુરતમાં પુસ્તક પ્રસારક મંડળી કાઢી, છાપખાનું આણ્યું, અને પુસ્તકો છાપવાનું શરૂ કર્યું. ગુજરાતમાં પહેલ વહેલું છાપખાનું નીકળ્યું તે એજ. મહેતાજીનાં પુસ્તકોની નોંધ યોગ્ય સ્થળે લઇશું.

હવે આ ઈલાકાના મુખ્ય નગર મુંબઈની હકીકત કહેવી ઈષ્ટ છે ઈશ્વરકૃપા હોય તો સત્કાર્યને સર્વદા અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે. મુંબાઈમાં એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુશનના તે કાળના વિદ્યાગુરૂ પ્રોફેસર રીડ ઘણા હોંસીલા હતા. પોતાના શિષ્યોનાં મનમાં તેમણે ખાસ ઠસાવ્યું હતું કે પાઠશાળામાં કેળવણી અને જ્ઞાન સંપાદન કરવાનો પ્રારંભ માત્ર થાય છે. પાઠશાળા છોડ્યા પછી તે જ્ઞાનની નિરંતર વૃદ્ધિ કરવી ઈષ્ટ છે; અને તેથી જુદી જુદી મંડળીઓ સ્થાપવી, જ્ઞાનની એક બીજા જોડે ચર્ચા કરી આપ લે કરવી, અને બીજા જનો જે સારી અને ઉંચી કેળવણીથી બેનશીબ હોય તેમને પોતાના જ્ઞાનનો લાભ આપવો, એ સરવે ભણેલાનું ઉચ્ચ કર્તવ્ય છે.

આવા સદગુરૂની સૂચનાથી સ્ટુડંટ્સ સોસાઇટી નામનું મંડળ સ્થપાયું હતું. આ મંડળની એક શાખાનું નામ ગુજરાતી જ્ઞાન પ્રસારક