પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિશ્વબંધુત્વ-સમાજ
101
 

 બીજે દિવસે શામળ પં. ધર્મપાલજીને ઘેર પહોંચ્યો કે તુરત જ પંડિતજીએ એને વધામણી આપી કે “શામળ, તારે સારુ અમારા પ્રાર્થનામંદિરમાં જ જગ્યા કરી છે. અમારો અત્યારનો વહીવટકર્તા બુઢ્ઢો થયો છે; તેને કાઢવો નથી, તેથી તને તેના સહાયક તરીકે નીમીએ છીએ.”

શામળ કોઈ મધદરિયે ડૂબતા નાવમાંથી ઊંચકાયેલા નાવિકની પેઠે ગળગળો બની ગયો. પોતાના ઉદ્ધારકને એણે મનથી ઈશ્વરતુલ્ય માન્યા.

પછી એણે તેજુના દુઃખી પરિવારની વાત કહીને કહ્યું : “સાહેબ, આપને સારુ દરિદ્રસેવાની આ તક છે. મારાથી એ કુટુંબનું દુઃખ જોવાતું નથી.”

ધર્મપાલજી હસ્યા : “અરે ગાંડા, એવાં તો અનેક પડ્યાં છે. હું શું કરી શકું ?”

“પણ સાહેબ, તેજુ બાપડી મરી જશે. એ લીલુભાઈ શેઠની મિલમાં સંચો ચલાવે છે. લીલુભાઈ શેઠ તો આપના સંઘની ભુવનેશ્વર-શાખાના સભ્ય છે. આપ ન કહો એમને ?”

“પણ એ શેઠિયા માણસને સેંકડોમાંથી એક મજૂરની ભલામણ શી રીતે કરી શકાશે ?”

“એ ન સાંભળે ?”

“સાંભળે – પણ એને હજાર કામ હોય –” ધર્મપાલજીના મનમાં ગૂંગળામણ સ્પષ્ટ દેખાતી હતી.

નાની વીણા પોતાના ચોરભાઈને નીરખતી અને એની તરવરાટભરી વાતો સાંભળતી, એની ચકચકિત આંખોના ચંચળ હાવભાવ જોતી ત્યાં જ બેઠેલી. એ નજીક આવી, બોલી : “બાપાજી ! આપણે વિનોદબહેનને જ વાત કરીએ તો ?”

“હા, એ બરાબર !” શામળનું કલેજું જાણે એ શબ્દોમાં છલંગ મારી ઊઠ્યું.