પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
106
સત્યની શોધમાં
 

 “વિકાસક્રમનો નિયમ !” શામળે નવી લપ માંડી. ધર્મપાલજીને શામળનો આ વાર્તાલાપ રૂંવે રૂંવે ચટકા લેતો હતો. છોકરો ગુંદરિયું થઈને ચોંટ્યો હતો. ખામોશી રાખી શાંત ખુલાસા દેવા વગર આબરૂ જળવાય તેમ નહોતું.

“હા ભાઈ હા, તું ન સમજ, પણ વિશ્વમાં કેટલીક અદૃશ્ય શક્તિઓ કામ કરી રહી છે. એ શક્તિઓ મહાન પરિવર્તનો પ્રગટાવશે, પણ એની ગતિ બહુ ધીરી છે.”

“શા માટે ધીરી છે ? કેમ કે લોકો કંઈ કંઈ ગણતરીઓ કરે છે. સાચું કહી શકતા નથી –”

“ભાઈ શામળ !” દિતુ શેઠ જેવા લક્ષ્મીનગરના અગ્રણી પુરુષ વિશેની આ પીંજણ ધર્મપાલજીને ઠીક ન લાગી, એટલે એમણે શામળભાઈની ગાડી બીજે પાટે ચડાવી, “ભાઈ શામળ, તને આવા સામાજિક પ્રશ્નોમાં ખૂબ રસ લાગે છે.”

“જી હા, પણ મારો રસ અનુભવની વેદનાનો છે; મારાથી આ સહ્યું જાતું નથી.”

“તું ખાતરી રાખજે, ભાઈ, કે હું પણ અંદરથી વલોવાઈ રહેલ છું; પરંતુ તારે ધીરજ કેળવવી પડશે –”

“પણ સાહેબ, ભૂખે મરતાં લોકોએ કઈ રીતે ધીરજ કેળવવી ?”

ત્યાં તો ધર્મપાલજીના ઘરનાં પગથિયાં આવી પહોંચ્યાં, “લે ભાઈ, હવે આજ તો આટલું બસ. ફરી આપણે જરૂર ચર્ચા કરીશું. હો કે ?”

એટલું કહેતાં જ ધર્મપાલજી ઘરમાં દાખલ થઈ ગયા. ઉપર ચડીને બારીની ચિરાડમાંથી બહાર નજર કરી : શામળ ધીરે પગલે ચાલ્યો જતો હતો.

“હે પ્રભુ ! માંડ બલા ગઈ.” એટલું કહી, ઊંડો શ્વાસ ખેંચી ધર્મપાલજીએ કપડાં બદલાવ્યાં.