પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રુખસદ
157
 


બંડનો ભડકો એના હૈયામાં સળગી ઊઠ્યો : ના, ના, મને ફેંકી દેનાર એ બધા કોણ ? આખર સુધી લડીશ. મંદિર તો પ્રભુનું છે, ને મને ત્યાં પ્રવેશવાનો હક છે. એના ઘુમ્મટ નીચે સત્ય બોલવાનો પણ મને અધિકાર છે.

કમિટીની બેઠક પૂરી થઈ, ને એણે કમાડ પર ટકોરો દીધો. કમાડ ખૂલતાં જ એણે અંદર ધસારો કર્યો; લીલુભાઈ, હરિવલ્લભ, ધર્મપાલ વગેરેની સામે એણે નજર ચોડી; બોલી ઊઠ્યો કે, “મહેરબાનો, મારું નામ શામળજી રૂપજી – મારી દાદ સંભળાવવા હું તમારી સમક્ષ આવ્યો છું. મને સાંભળ્યા પછી તમારાથી ઉઠાશે.”

– ને તે પછી એ વરુએ વીંટેલા હરણાએ શા શા પછાડા માર્યા, એને એક પછી એક સભ્ય કેવાં અપમાનોથી પોંખ્યો, તેની કલ્પના સરળ છે. છેલ્લા બોલ એ હતા કે, “બદમાશ ! નીકળ બહાર, નીકળ અહીંથી.” એ બોલીને શામળને ધક્કો મારનાર હતા ખુદ હરિવલ્લભ દેસાઈસાહેબ પોતે જ.

શામળે પોતાની આંગળી હરિવલ્લભ તરફ નોંધીને છેલ્લી વરાળ ખલ્લાસ કરી : “તમે હરિવલ્લભ શેઠ, તમે તો સહુથી નપાવટ છો. તમે ધુરંધર ધારાશાસ્ત્રી, નામાંકિત રાજપુરુષ ! દુનિયાની નીચામાં નીચી ગટરોમાં ભમ્યો છું, હું પીઠાવાળાઓને અને ડાકુઓને, વેશ્યાઓને અને ઉઠાવગીરોને મળ્યો છું. પણ તમારા સરખો દયાહીન અને લોખંડી માનવી મેં ત્યાંય નથી દીઠો; તમને હું નહીં છોડું.”

પોતાની પછવાડે કમાડને પછાડીને બંધ કરતો એ ત્યાંથી નીકળી ગયો. બે કલાક સુધી એ લક્ષ્મીનગરના રસ્તા પર પોતાનો ઉશ્કેરાટ શમાવવા ટહેલ્યો. પછી જ્યારે મોડી રાતે ઘેર ગયો, ત્યારે બીજાં સહુ સૂઈ ગયાં હતાં; વાટ જોતી બેઠી હતી એકલી તેજુ.

તેજુએ શામળની તે દિવસની આપવીતી શ્વાસ રૂંધીને સાંભળી. પછી એ બોલી : “ભાઈ, મેંયે મારાથી બનતું કર્યું છે.”

“તેં શું કર્યું બહેન ?”