શકે - એવો સર્વને માટે સુખ-સંપદનો યુગ આણવાનો અમારો મનોરથ છે. અમારે કોઈ સાથે વેર કે કિન્નો નથી.”
થોડી વાર સ્તબ્ધ બની જઈ શામળ કહ્યું: “પણ એ બધું તો હું માનું છું તે મુજબ જ છે. બરાબર તે જ.”
“અમે પણ એ જ કહીએ છીએ કે દરેક સમજુ માણસ એમ જ માને છે.”
“પણ – પણ – ત્યારે તો હું તમારા સમાજનો ઠર્યો.”
“નેવું ટકા પ્રજાજનો એ રીતે અમારા સમાજના જ છે. પણ તેઓને હજુ જ્ઞાન નથી થયું.”
“પણ તમારે લોકોને એ શીખવવું જોઈએ.”
“અમે બનતું કરીએ છીએ. તમે પણ આવો, મદદ કરો.”
“પણ ત્યારે તમારા વિશે લોકોમાં આ જુઠ્ઠાણાં કોણ ફેલાવે છે ?”
“શેઠ, શાહુકારો, માલિકો, ધર્માચાર્યો વગેરે પોતાનાં તાબેદારોમાં વિચારો સીંચે છે.”
“આ તો કાવતરું !”
“હા, એ તો છે જ ને! તેઓની કને છાપાં છે, લેખકો છે, કૉલેજો છે, ધર્મમંદિરો ને ધર્મોપદેશકો છે. આ બધાં એ વિષપ્રચારની નીકો તરીકે કામ કરે છે.”
શામળની દૃષ્ટિ સામે મૂડીવાદનો છેલ્લો દૈત્ય ખડો થયો.
આજ સુધી એને ખબર હતી કેવળ એટલી જ વાતની કે મૂડીદારોએ માત્ર દ્રવ્યનાં સાધનો જ પોતાના પંજામાં રાખી લોકોનાં શરીરને ભૂખે માર્યાં છે. આજે જાણ થઈ કે મતિભ્રમ કરાવી પ્રજાના આત્માઓને પણ જંજીરો જકડેલી છે તેઓએ. એણે ચકિત બનીને કહ્યું : “આ તો ન મનાય તેવી વાત.”
“અમારી સાથે રહો ને સગી આંખે નિહાળો.” એટલું જ બોલીને હજારીલાલ હસ્યા.