પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
46
સત્યની શોધમાં'
 


“ભણતો – મારા બાપ હયાત હતા ત્યાં સુધી. ભણવા ઉપર તો મને ધિક્કાર છૂટે છે. મોટો મૂરખો છે એ તો. તમને કેવો લાગ્યો ?”

“મને તો એણે મોટાં રહસ્યો બતાવ્યાં.”

“શાં રહસ્યો ?”

“– કે આ બેકારીનું ખરું રહસ્ય શું છે. એણે કહ્યું કે દુનિયામાં લોકો ક્યાંય સમાતા નથી, વધી પડ્યા છે, અને હું જીવનસંગ્રામમાં હારી ગયેલો નાલાયક છું. તેથી મારે જિંદગીમાંથી ઊખડી જવું જ જોઈએ.”

“સાલો ગધાડો ! એવું કહ્યું ?” શ્રીમંતના પુત્રે પ્રોફેસરના નામ પર પુષ્પવૃષ્ટિ કરી. શામળને એવા શબ્દપ્રયોગો ન ગમ્યા, પણ એને લાગ્યું કે એવાં વચનો કાઢવાનો સમૃદ્ધિવંતોને – સમર્થોને અધિકાર હશે.

તેટલામાં તો ગાડી એક દરવાજામાં વળી. દરવાજા પરના પાટિયામાં મોટા અક્ષરો ચળકતા હતા : ‘નંદનવન’. શામળે અચંબો પામી પૂછ્યું : “આપણે ક્યાં જઈએ છીએ ?”

“મારે ઘેર.”

“તમે આંહીં રહો છો ?”

“હા.”

“આંહીં તો હું કામ માગવા આવેલો, ને મને દરવાજેથી જ ધક્કો દઈ બહાર કાઢેલો.”

“સાલા બેવકૂફોએ એવું કરેલું ! ખેર, હવે તમને કોઈ નહીં કાઢી શકે.”

“પણ તમારું નામ શું ?”

“તેં અનુભવથી ન કલ્પી લીધું ?”

“શી રીતે ?”

“કેમ ? આ સ્થળ શું છે તે તું નથી જાણતો ?”

“ના, શું છે ?”

“આ લક્ષ્મીનંદન શેઠનો નિવાસ-મહેલ.”

“લક્ષ્મીનંદન શેઠનો ?” શામળ ચકિત નજરે નિહાળી રહ્યો.