“ભણતો – મારા બાપ હયાત હતા ત્યાં સુધી. ભણવા ઉપર તો મને ધિક્કાર છૂટે છે. મોટો મૂરખો છે એ તો. તમને કેવો લાગ્યો ?”
“મને તો એણે મોટાં રહસ્યો બતાવ્યાં.”
“શાં રહસ્યો ?”
“– કે આ બેકારીનું ખરું રહસ્ય શું છે. એણે કહ્યું કે દુનિયામાં લોકો ક્યાંય સમાતા નથી, વધી પડ્યા છે, અને હું જીવનસંગ્રામમાં હારી ગયેલો નાલાયક છું. તેથી મારે જિંદગીમાંથી ઊખડી જવું જ જોઈએ.”
“સાલો ગધાડો ! એવું કહ્યું ?” શ્રીમંતના પુત્રે પ્રોફેસરના નામ પર પુષ્પવૃષ્ટિ કરી. શામળને એવા શબ્દપ્રયોગો ન ગમ્યા, પણ એને લાગ્યું કે એવાં વચનો કાઢવાનો સમૃદ્ધિવંતોને – સમર્થોને અધિકાર હશે.
તેટલામાં તો ગાડી એક દરવાજામાં વળી. દરવાજા પરના પાટિયામાં મોટા અક્ષરો ચળકતા હતા : ‘નંદનવન’. શામળે અચંબો પામી પૂછ્યું : “આપણે ક્યાં જઈએ છીએ ?”
“મારે ઘેર.”
“તમે આંહીં રહો છો ?”
“હા.”
“આંહીં તો હું કામ માગવા આવેલો, ને મને દરવાજેથી જ ધક્કો દઈ બહાર કાઢેલો.”
“સાલા બેવકૂફોએ એવું કરેલું ! ખેર, હવે તમને કોઈ નહીં કાઢી શકે.”
“પણ તમારું નામ શું ?”
“તેં અનુભવથી ન કલ્પી લીધું ?”
“શી રીતે ?”
“કેમ ? આ સ્થળ શું છે તે તું નથી જાણતો ?”
“ના, શું છે ?”
“આ લક્ષ્મીનંદન શેઠનો નિવાસ-મહેલ.”
“લક્ષ્મીનંદન શેઠનો ?” શામળ ચકિત નજરે નિહાળી રહ્યો.