પૃષ્ઠ:Shobhana.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિશાંતિ :૨૧૭
 


‘પેલી બીજી છોકરી પણ આવી હતી. રતને કહ્યું.

‘કોણ ?’

'ન્હોય. પેલી તે દિવસે તમને મળ્યા વગર બહારથી જ જતી રહી હતી તે! '

પરાશરને શોભનાનો ખ્યાલ આવ્યો, પરંતુ તે કાંઈ બોલ્યો નહિ. કુમાર ખબર આપવાને માટે બહાર નીકળ્યો. સાથે સાથે ઘવાયેલા મજૂરોને પાટાપટ્ટી કરવા માટે પણ તેને જવાનું હતું. પરાશર અને રતન એકલાં પડ્યાં.

‘મારો તો જીવ ઊડી ગયો હતો !’ રતને કહ્યું.

‘મને પણ એક વખત એમ થયું કે હું જીવતો ન રહું તો વધારે સારું.’ પરાશરે પોતાની એક ઊર્મિનું વર્ણન આપ્યું.

‘ખમ્મા કરે તમને ! મેં તો બાધા માની છે.’

‘કોની ?’

‘કહીશું પછી. તમારે તો કશામાં માનવું જ નહિ ને ! જરા દેવદર્શન કરતા રહો તો માથેથી ભાર તો ઊતરે !’

બાધા, દેવ અને દર્શન એ બધા જ વહેમ હતા. એમાં પરાશરને શ્રદ્ધા તો ન જ હોય, પરંતુ ઊલટો વિરોધ હોય, છતાં એ પ્રત્યાઘાતી ભાવ અત્યારે નિ:સ્વાર્થી પ્રેમનું સ્ફોટન કરતો હતો. વહેમવિરુદ્ધ કાંઈ પણ કહેવાનું પરાશરને મન થયું નહિ.

‘આ એક કાગળ તમારા નામનો આવ્યો છે.' રતને ચોથીમાંથી પત્ર કાઢતા કહ્યું.

‘મારા નામનો ? જોઉં.’ પરાશરે કાગળ લીધો.

ગઈ કાલનો ટપાલમાં પડેલો પત્ર આજની છાપ ધારણ કરી રહ્યો હતો. અક્ષર ઓળખાયા નહિ. કાગળ તેણે ફોડ્યો. તે ઉઘાડતાં એક કોરા કાગળમાં વીંટેલી રૂપિયાની નોટો બહાર નીકળી આવી, પચાસ રૂપિયાનાં એક કાગળિયાં હતાં. !

“મને આમ રૂપિયા કોણ મોકલાવે ?' પરાશરના મનમાં વિચાર આવ્યો.

‘હવે તો ભૂખ્યા નથી રહેવું ને ?’ રતને પૂછ્યું.

‘હું કદી ભૂખ્યો રહેતો જ નથી.’

‘જુઠ્ઠા. હવે જરા સારું ખાઓ.’